Fir on Mamta Banrjee : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જી ફરી એકવાર મોટા વિવાદોમાં ઘેરાયા છે. તેમની વિરુદ્ધ સિલીગુડીના સાયબર પોલીસ સ્ટેશનમાં એક સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તેમના પર સનાતન ધર્મ વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ કાનૂની ફરિયાદ એડવોકેટ રિંકી ચેટર્જી સિંઘ દ્વારા દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે મમતા બેનર્જીના નિવેદનથી કરોડો લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, અને તેનાથી સમાજમાં તણાવ પેદા થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ચૂંટણી પહેલા અને વર્ષ 2025 માં હિન્દુઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપસર આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે વર્ષ 2025 માં કોલકાતા ખાતે આયોજિત ઇદના એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દુ સમુદાય અને સનાતન ધર્મ વિરુદ્ધ અશોભનીય નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત, ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આવા જ નિવેદનો આપવાની વાત સામે આવી છે. ફરિયાદી એડવોકેટ રિંકી ચેટર્જીએ દાવો કર્યો છે કે, 'મેં વર્ષ 2025 માં પણ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે મારી વાત સાંભળવામાં આવી ન હતી અને મારે માનસિક પ્રતાડનાનો સામનો પણ કરવો પડ્યો હતો.'
પ્રખ્યાત ગાયક કબીર સુમન વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ
બીજી તરફ, પશ્ચિમ બંગાળના પ્રખ્યાત ગાયક-ગીતકાર અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ કબીર સુમન પણ ફરી એકવાર કાયદાકીય ચક્રવ્યૂહમાં ફસાયા છે. તેમની વિરુદ્ધ કોલકાતામાં એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમના પર મહિલાઓનું અપમાન કરવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતો કથિત વીડિયો કે નિવેદન આપવાનો આરોપ છે. આ ફરિયાદ 'જાતિર કથા' નામના એક સામાજિક સંગઠન દ્વારા નોંધાવવામાં આવી છે. સંગઠનના સભ્યોનો આરોપ છે કે, કબીર સુમને મહિલાઓ વિરુદ્ધ અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, અને એવા નિવેદનો આપ્યા છે જેનાથી હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
સંગઠનના સભ્યોનું કડક વલણ
સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું છે કે તેઓ આ મામલે કાનૂની કાર્યવાહી માટે તમામ જરૂરી પગલાં ભરશે, અને આવા નિવેદનોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. સંગઠનના એક સભ્યએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, 'પોતાને બુદ્ધિજીવી ગણાવતા કબીર સુમન અવારનવાર જાહેર મંચ પર મર્યાદાની સીમાઓ ઓળંગી ચૂક્યા છે. તેમની ટિપ્પણીઓ મહિલાઓ પ્રત્યે અપમાનજનક છે અને સમગ્ર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે'.


