ભારતને પ્લાસ્ટિક મુક્ત કરો, ફિટ ઇન્ડિયા ચળવળ સાકાર બનાવો: મોદી
- મન કી બાતમાં મોદીએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય પર ભાર મુક્યો
- શ્રીકૃષ્ણના જીવનમાંથી હાલની દરેક સમસ્યાઓનું નિરાકરણ મળી શકે: મોદીએ જન્માષ્ટમીની શુભકામના પાઠવી
નવી દિલ્હી, તા.25 ઓગસ્ટ, 2019, રવિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ફરી પ્લાસ્ટિકના ઉપયોગ સામે એક મહાભિયાન ચલાવવાની હાકલ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ વખતની મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા તરફ પ્રયાસો થવા જોઇએ. સાથે જ આ અભિયાનમાં મ્યૂનિસિપાલિટી, એનજીઓ અને સહકારી ક્ષેત્ર આગળ આવે.
માસિક મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતી વેળાએ મોદીએ આ સંદેશો આપ્યો હતો. તેમણે સાથે આ વર્ષે 11મી સપ્ટેમ્બરે શરૂ થનારા સ્વચ્છ હી સેવા કાર્યક્રમમાં મોટા પાયે લોકોને ભાગ લેવાની અપીલ કરી હતી.
સાથે લોકોએ મહાત્મા ગાંધીજીની 150મી જયંતીએ ભારત માતાને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનું અભિયાન ચલાવવું જોઇએ. હું આ સાથે જ સહકારી ક્ષેત્ર અને પંચાયતો, મ્યૂનિ., એનજીઓ અને દરેક નાગરીકને અપીલ કરૂ છું કે તેઓ દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાના આ અભિયાનમાં મદદ કરે. સાથે જ મોદીએ ઇકો ફ્રેન્ડ્લી બેગનો ઉપયોગ વધારવાની પણ અપીલ કરી હતી.
મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા ચળવળ ચલાવવાના પ્લાનની જાહેરાત કરી હતી. પ્લાસ્ટિકના ઉપયોગ સામે બીજી ઓક્ટોબરથી જ્યારે ફિટ ઇન્ડિયા ચળવળ 29મી ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિન નિમિત્તે લોંચ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખેલ દિન નિમિત્તે ફિટ ઇન્ડિયા ચળવળને લોંચ કરાશે. હું ઇચ્છું છુ કે દેશનો દરેક નાગરીક તંદુરસ્ત અને સ્વસ્થ રહે.
મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જન્માષ્ટમીની પણ શુભકામના પાઠવી હતી. મોદીએ સુદામા અને કૃષ્ણની મિત્રતાને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે આ બન્નેની મિત્રતાને કોઇ ન ભુલી શકે. શ્રીકૃષ્ણના જીવનમાં દરેક સમસ્યાઓનું નિરાકરણ મળી રહેશે.
વડા પ્રધાને મન કી બાત કાર્યક્રમમાં પ્રાણીઓની દેખરેખ અને સંભાળ પર ધ્યાન આપવાની અપીલ પણ કરી હતી. તેમણે સાથે જ કુપોષણમાંથી દેશને મુક્ત કરવા માટે લોકોને સહભાગી થવાની અપીલ કરી હતી, તેમણે કહ્યું હતું કે આગામી મહિનેથી પોષણ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. મોદીએ કહ્યું કે જો આપણે ખુદને ફિટ રાખીશું તો દેશ પણ ફિટ રહેશે.