Get The App

'કેસ બનાવો અને અરેસ્ટ કરો...', ULC કૌભાંડમાં ફડણવીસ-શિંદેને ફસાવવાનો પૂર્વ DGP પર આરોપ

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
'કેસ બનાવો અને અરેસ્ટ કરો...', ULC કૌભાંડમાં ફડણવીસ-શિંદેને ફસાવવાનો પૂર્વ DGP પર આરોપ 1 - image


ULC Scam Case :  મહારાષ્ટ્રના રાજકારણ અને પોલીસ વિભાગમાં ભૂકંપ લાવનારો એક ગંભીર ખુલાસો સામે આવ્યો છે. પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) રશ્મિ શુક્લા દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વર્ષ 2021માં તત્કાલીન DGP સંજય પાંડેએ તે સમયના વિપક્ષના નેતા અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા મુખ્યમંત્રી એકનાથ શિંદેને શહેરી જમીન ટોચ મર્યાદા (ULC) કૌભાંડમાં ખોટા આરોપો હેઠળ ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

શું હતો સમગ્ર મામલો અને ષડયંત્ર?

આ રિપોર્ટ મહારાષ્ટ્રના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને સોંપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંજય પાંડેએ થાણેના ડીસીપી લક્ષ્મીકાંત પાટિલ અને એસીપી સરદાર પાટિલને નિર્દેશ આપ્યો હતો કે તેઓ 2016ના ULC કેસમાં ફડણવીસ અને શિંદેને આરોપી તરીકે રજૂ કરે અને એવું દર્શાવે કે તેમણે બિલ્ડરો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવ્યા છે. રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે એસીપી સરદાર પાટિલ પર ફડણવીસ અને શિંદેની ધરપકડ કરવા માટે ભારે દબાણ બનાવવામાં આવ્યું હતું.

ઓડિયો ક્લિપથી થયો મોટો ખુલાસો

આ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી સંજય પુનામિયાએ તપાસ એજન્સીઓને એક ઓડિયો ક્લિપ પણ સોંપી છે, જેમાં કથિત રીતે સંજય પાંડે, લક્ષ્મીકાંત પાટિલ અને સરદાર પાટિલ વચ્ચે ફડણવીસને ફસાવવાની વાતચીત સંભળાય છે. આ ઉપરાંત, રિપોર્ટમાં એવો પણ આરોપ છે કે ડીસીપી લક્ષ્મીકાંત પાટિલે પોતે તપાસ અધિકારી ન હોવા છતાં, પુનામિયા અને સુનીલ જૈનની પૂછપરછ કરી હતી અને તેમના પર ફડણવીસ દ્વારા બિલ્ડરો પાસેથી વસૂલાયેલી રકમ જણાવવા માટે દબાણ કર્યું હતું.

રશ્મિ શુક્લાના રિપોર્ટમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે આ સમગ્ર ઘટના રાજકીય બદલો લેવા માટે પોલીસ તંત્રના દુરુપયોગને દર્શાવે છે. આ ખુલાસાએ મહારાષ્ટ્રમાં સત્તા, કાયદો અને વ્યવસ્થા તથા નિષ્પક્ષ તપાસની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય તપાસ અને કાર્યવાહીની માંગ તેજ બની રહી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતા છે.

શું છે ULC કૌભાંડ?

મહારાષ્ટ્રમાં અર્બન લેન્ડ સિલિંગ (ULC) કૌભાંડ એ 1976ના શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા સાથે જોડાયેલો એક મોટો જમીન કૌભાંડ છે. આ કાયદા હેઠળ, શહેરી વિસ્તારોમાં 500 ચોરસ મીટરથી વધુ જમીન સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવતી હતી. પરંતુ આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર દ્વારા, જમીન માલિકોએ ખોટા દસ્તાવેજો બનાવીને અને અધિકારીઓની મિલીભગતથી સરકારી અધિગ્રહણથી બચવા માટે કરોડો રૂપિયાની જમીન ખોટી રીતે પોતાની પાસે રાખી હતી. બોમ્બે હાઈકોર્ટે આ કૌભાંડને અત્યાર સુધીના સૌથી મોટા જમીન કૌભાંડોમાંથી એક ગણાવ્યું છે.