Maharashtra Local Polls: મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કાકા શરદ પવારની NCP (શરદ પવાર જૂઠ) એ હવે પૂણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવારે પિંપરી-ચિંચવાડ નગર નિગમની ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. ડેપ્યુટી સીએમએ રવિવારે કહ્યું હતું કે 'પરિવાર' એક સાથે આવી ગયો છે.
કાર્યકરોની ઇચ્છાને કારણે લેવાયો નિર્ણય
સીનિયર પવારના પૌત્ર અને NCP(SP)ના ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું હતું કે, 'બંને પક્ષો પૂણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ નિર્ણય પૂણે અને પિંપરી-ચિંચવાડના કાર્યકરોની ઇચ્છાને કારણે લેવામાં આવ્યો છે, જ્યાં બંને પક્ષોએ ગઠબંધનનું પગલું ભર્યું છે.'
પરિવાર એકજૂટ
અજિત પવાર પિંપરી-ચિંચવાડમાં 15 જાન્યુઆરીના રોજ થવા જઈ રહેલી ચૂંટણી માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, 'પિંપરી-ચિંચવાડ નગર નિગમ ચૂંટણી માટે 'ઘડિયાળ' અને 'રણશિંગડું' એક થઈ ગયા છે. પરિવાર એકજૂટ થયો છે.' પવારે પાર્ટીના કાર્યકરોને સખત મહેનત કરવા અને રેલીઓ દરમિયાન કોઈપણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ ટાળવા અપીલ કરી.
અમે વિકાસ માટે કામ કરનારા લોકો છીએ
અજિત પવારે આગળ કહ્યું કે, 'અમે વિકાસ માટે કામ કરનારા લોકો છીએ. અમે એ લોકોને બહાર કરી દઈશું જેમણે આ નગર નિગમને દેવામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો.' દિવસની શરુઆતમાં પવાર પરિવાર બારામતીમાં હતો, જ્યાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 'શરદચંદ્ર પવાર સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'નું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પણ વાંચો: કાકા-ભત્રીજા આવ્યા સાથે! 'શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું' અજિત પવારની મોટી જાહેરાત
15 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી
પિંપરી-ચિંચવાડ અને પૂણે નગર નિગમ સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે, અને બીજા દિવસે મતગણતરી થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે.


