Shiv Sena UBT On Congress : કોંગ્રેસે અમદાવાદમાં અધિવેશન યોજીને માત્ર પોતાની જ વાતો કરતા શિવસેના યુબીટીને વાંધો પડ્યો છે. પાર્ટીએ કહ્યું છે કે, કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનની સ્થિતિ અંગે વાત કરવી જોઈએ અને અમદાવાદમાં યોજેલા અધિવેશનમાં વિપક્ષી ગઠબંધન અંગે પૂછેલા સવાલોનો જવાબ આપવાની જરૂર હતી.
કોંગ્રેસના અમદાવાદના અધિવેશનથી શિવસેના યુબીટીને પડ્યો વાંધો
શિવસેના યુબીટીએ મુખપત્ર સામનાના તંત્રી લેખમાં લખ્યું છે કે, કોંગ્રેસે અમદાવાદમાં યોજેલા અધિવેશનમાં માત્ર પોતાના વિશે વાત કહી, તેઓએ ઈન્ડિયા ગઠબંધનની ક્યાંય પણ ચર્ચા ન કરી. લોકસભા ચૂંટણી બાદ ઈન્ડિયા ગઠબંધનની સ્થિતિ શું છે? તેના પર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસે અધિવેશનમાં તેના પર વિચાર કરવો જોઈતો હતો.
આ પણ વાંચો : વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ
‘જમીનમાં દબાઈ ગયું કે હવામાં ઉડી ગયું’
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિવસેનાએ સવાલ કરતા કહ્યું કે, ‘ગઠબંધનનું શું થયું? શું તે જમીનમાં દબાઈ ગયું કે હવામાં ગાયબ થઈ ગયું? આ સવાલનો જવાબ દેવાની જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષની છે.’
‘બિહાર-બંગાળ ચૂંટણી અંગે કોંગ્રેસનું વલણ શું છે?’
ઉદ્ધવની પાર્ટી ગુજરાત, બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું વલણ જાણવા માંગે છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસની સાથી પાર્ટી છે, જ્યારે ગુજરાત અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગઠબંધનના સાથી પક્ષો આમ આદમી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઝંપ લાવશે.
‘કોંગ્રેસે ગુજરાતમાં અધિવેશન યોજ્યું, પરંતુ...’
શિવસેના યુબીટીએ કહ્યું કે, ‘કોંગ્રેસે ગુજરાતમાં અધિવેશનનું આયોજન કર્યું, પરંતુ લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 2014 પછી પશ્ચિમી રાજ્યમાં માત્ર એક જ બેઠક જીતી.’ લેખમાં એમ પણ કહેવાયું છે કે, ‘કોંગ્રેસે મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં પ્રયાસો કરવાની જરૂર છે. કોંગ્રેસને મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં સફળતા મળી, પરંતુ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે. આ હાર માટે કોંગ્રેસના આંતરીક મામલાઓની સાથે સાથે ભાજપના કૌભાંડો પણ એટલા જ જવાબદાર છે. આ મુદ્દે કોંગ્રેસે વિચાર કરવો જોઈએ.’
આ પણ વાંચો : ‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ


