પ્રેમિકાના મૃત્યુ બાદ પણ યુવકે વાયદો પૂરો કર્યો, મૃતદેહ સાથે લગ્ન કર્યા, સૌ કોઈની આંખો ભીની થઈ
Image Source: Twitter
Maharajganj Man Married His Dead Girlfriend: ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પ્રેમીએ પોતાની મૃત પ્રેમિકાને મૃતદેહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન કરાવવા આવેલા પંડિતે ઉદાસ મને મંત્રોચ્ચાર કરીને લગ્ન સંપન્ન કરાવ્યા. બીજી તરફ મંગલ ગીત ગાવાના બદલે મહિલાઓ રડી રહી હતી. દરેકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જિલ્લાના ઈતિહાસમાં આ પહેલી એવી ઘટના જણાવવામાં આવી રહી છે જેમાં મૃતદેહ સાથે લગ્ન થઈ રહ્યા હતા.
મકાનમાલિકની દીકરી સાથે જ પ્રેમ થઈ ગયો
વાસ્તવમાં નિચલૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્થાનિક શહેરમાં યુવક પોતાની દુકાન ખોલીને પોતાની રોજગારી કરી રહ્યો હતો. આ વચ્ચે તેને મકાનમાલિકની દીકરી સાથે જ પ્રેમ થઈ ગયો. જ્યારે મામલો આગળ વધ્યો ત્યારે પરિવારે પહેલા ના પાડી દીધી પરંતુ બંનેની જીદ સામે ઝૂકવું પડ્યું અને લગ્ન માટે સંમત થયા. બંને એકબીજા સાથે લગ્ન કરીને ઘર સંસાર વસાવવાનું સપનું જોઈ રહ્યા હતા. પરંતુ આ વચ્ચે કોઈ બાબતને લઈને છોકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી છોકરીના પરિવારમાં ખળભળાટ મચી ગયો.
પ્રેમિકાના મૃત્યુ બાદ પણ યુવકે વાયદો પૂરો કર્યો
પ્રેમિકાના મૃત્યુના સમાચાર મળતાં જ પ્રેમી ભાંગી પડ્યો અને પ્રેમિકાના ઘરે પહોંચ્યો. અહીં તેણે કહ્યું કે, મેં તેને પોતાની દુલ્હન બનાવવાનું વચન આપ્યું હતું. સાથે રહેવાનું વચન ભલે પૂરું ન થયું હોય, પરંતુ તેની અર્થી એક સુહાગણના રૂપમાં જ ઉઠશે. તેણે પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. થોડા સમય માટે તો બધા સ્તબ્ધ થઈ ગયા પણ બંને વચ્ચેનો પ્રેમ જોઈને રડતા પરિવારના સભ્યો મૃતદેહ સાથે લગ્ન કરાવવા સંમત થયા. અંતિમ સંસ્કાર માટે બોલાવવામાં આવેલા પંડિતજીએ લગ્નનોના મંત્રોચ્ચાર કર્યા. મંગલ ગીતને બદલે મૃતદેહ સાથે થઈ રહેલા લગ્નમાં મહિલાઓ રડી રહી હતી અને સ્થળ પર ભેગી થયેલી ભીડ આંસુ વહાવી રહી હતી. આ ઘટનાનો વીડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
મૃતદેહ સાથે લગ્ન કર્યા
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રેમીએ પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કર્યા. તેની માંગમાં સિંદૂર ભર્યું. યુવતીની અર્થી સુહાગણ તરીકે ઉઠી. ત્યારબાદ પ્રેમી સ્મશાનભૂમિ પહોંચ્યો અને પતિ તરીકે મુખાગ્નિ આપીને અગ્નિસંસ્કાર કર્યા. એસએચઓ નિચલૌલ અખિલેશ વર્માએ જણાવ્યું કે, એક યુવતીએ આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને બાદમાં પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.