Get The App

ફરી કૂનો નેશનલ પાર્કમાંથી આવ્યા ખરાબ સમાચાર : માદા ચીત્તા ‘જ્વાલા’ના વધુ 2 બચ્ચાઓના મોત, 1 ગંભીર

1 બચ્ચાની સ્થિતિ અત્યંત ગંભીર : મૃતક બચ્ચાઓની ઉંમર માત્ર 8 સપ્તાહની હતી

ત્રણ ચિતા, ત્રણ બચ્ચાના મૃત્યુ બાદ હવે કુનોમાં 17 ચિત્તા અને એક બચ્ચું બચ્યું

Updated: May 25th, 2023

GS TEAM

Google News
Google News
ફરી કૂનો નેશનલ પાર્કમાંથી આવ્યા ખરાબ સમાચાર : માદા ચીત્તા ‘જ્વાલા’ના વધુ 2 બચ્ચાઓના મોત, 1 ગંભીર 1 - image

ગ્વાલિયર, તા.25 મે-2023, ગુરુવાર

કુનો નેશનલ પાર્કમાંથી સતત ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલાં જ માદા ચીત્તા જ્વાલાના એક બચ્ચાનું મૃત્યુ થયું હતું, જોકે આજે તેના વધુ બે બચ્ચાઓના મોત નિપજ્યા હોવાના અને અન્ય એક બચ્ચાની હાલત ગંભીર હોવાના અહેવાલો મળી રહ્યા છે. માદા ચીત્તા જ્વાલાને દક્ષિણ આફ્રિકાથી અહીં લવાઈ હતી.

ફરી કૂનો નેશનલ પાર્કમાંથી આવ્યા ખરાબ સમાચાર : માદા ચીત્તા ‘જ્વાલા’ના વધુ 2 બચ્ચાઓના મોત, 1 ગંભીર 2 - image

એક બચ્ચાની હાલત ગંભીર

અગાઉ એક બચ્ચાના મૃત્યુ થયા બાદ તબીબો તેમજ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ચીત્તા અને તેના અન્ય 3 બચ્ચાઓની સતત સંભાળ અને દેખરેખ રાખવામાં આવી રીહ હતી. દિવસ દરમિયાન ચીત્તા જ્વાલાને સપ્લીમેંટ ફુટ આપવામાં આવ્યું... બપોર બાદ ત્રણ બચ્ચાઓની સ્થિતિ બગડતી જોવા મળી હતી. બચ્ચાઓની સ્થિતિ ખરાબ દેખાતા જ વહિવટી તંત્ર તેમજ વન્યપ્રાણી તબીબોની ટીમ દ્વારા તુરંત તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યા બાદ સારવાર કરવાનો નિર્ણય લેવાયો હતો. બે બચ્ચાઓની સ્થિતિ વધુ બગડતા તેમને બચાવી શક્યા ન હતા. જ્યારે એક બચ્ચાની હાલત ગંભીર હોવાથી તેને સારવાર તેમજ દેખરેખ માટે પાલપુરમાં આવેલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે.

હાલ માદા ચીત્તા જ્વાલા સ્વસ્થ

3 બચ્ચાના મૃત્યુ બાદ એક બચ્ચાની હાલત ગંભીર છે અને તેના માટે નામિબિયન અને દક્ષિણ આફ્રિકાના સહયોગી ચિત્તા નિષ્ણાતો અને ડૉક્ટરો પાસેથી સતત સલાહ લેવામાં આવી રહી છે. હાલ બચ્ચું સતત સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ હાલ માદા ચીત્તા જ્વાલા સ્વસ્થ છે અને તેની પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

બધા બચ્ચાઓનું આરોગ્ય કથડ્યું હતું

તમામ ચીત્તા બચ્ચાઓ નબડા પડી ગયા હતા. તેઓનું વજન સામાન્યથી ઓછું થઈ ગયું હતું અને તેઓ અતિશય ડિહાઈડ્રેટેડના શિકાર બન્યા હતા. અગાઉ તેમની માતાની પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. ચીત્તા બચ્ચાઓની ઉંમર લગભગ 8 સપ્તાહ છે. ચીત્તા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, સામાન્યરીતે આફ્રિકામાં ચીત્તા બચ્ચાઓના જીવતા રહેવાની ટકાવારી ખુબ જ ઓછી હોય છે. સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

બે દિવસ પહેલાં જ એક બચ્ચાનું થયું હતું મોત

ઉલ્લેખનિય છે કે, 23મી મેના રોજ માદા ચીત્તા જ્વાલાના ચાર બચ્ચામાંથી 4નું બિમારીના કારણે આજે મોત નિપજ્યું હતું. કુનોમાં 24 માર્ચના રોજ માદા ચીત્તાએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ ચારેય બચ્ચાઓ સ્વસ્થ હતા અને માતા સાથે સમય પસાર કરી રહ્યા હતા. જોકે મોનીટરિંગ દરમિયાન એક બચ્ચું બિમાર હોવાનું સામે આવ્યું હતું, તેની સારવાર પણ ચાલી રહી હતી, જોકે તેનું મૃત્યુ થયું હતું. પીસીસી વાઈલ્ડ લાીફ જસવીરસિંહે માદા ચીત્તા જ્વાલાના બચ્ચાનું મૃત્યુ નિપજ્યું હોવાની પુષ્ટી કરી હતી.

બે મહિનામાં 3 ચીત્તાનું અને 3 બચ્ચાઓનું મોત

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ગત 2 મહિનામાં ત્રીજા ચીત્તાનું મોત નિપજ્યું છે, ઉપરાંત 3 બચ્ચાએ પણ જીવ ગુમાવ્યો છે. કુનો નેશનલ પાર્કમાં ચીત્તાઓની સંખ્યા સતત ઘટી રહી છે, જેના કારણે ચીત્તા પ્રોજેક્ટની સફળતા પર સવાલો ઉઠી રહ્યા છે. ઉપરાંત અધિકારીઓ પણ ચીત્તાઓના મોતથી ચિંતિત બન્યા છે. આ બચ્ચાથી પહેલા ચિતા સાસા, દક્ષા અને નર ચિતા ઉદયનું મોત થયું હતું. ત્રણ ચિતા અને 3 બચ્ચાના મૃત્યુ બાદ હવે કુનોમાં 17 ચિત્તા અને 1 બચ્ચું બચ્યું છે.

2 નર ચિત્તાઓએ હુમલો કરતા માદા ચિતા દક્ષાનું થયું હતું મોત

અગાઉ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી દક્ષા નામની માદા ચિતાનું મૃત્યુ થયું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચિત્તાઓ વચ્ચેની લડાઈમાં દક્ષાનું મૃત્યુ થયું હતું. 2 નર ચિત્તાઓએ તેના પર હુમલો કર્યો, જેમાં દક્ષાનું મોત થયું હતું. PCCF જે.એસ.ચૌહાણે ચિતાના મોતની પુષ્ટિ કરતી પ્રેસ નોટ જારી કરી છે.

ગત એપ્રિલમાં ચિતા ‘ઉદય’ અને ‘સાશા’નું થયું હતું મોત

ગત એપ્રિલમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા ‘ઉદય’નું મોત થયું હતું. ચિત્તા ઉદય બિમાર હોવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તો 5 વર્ષની માદા ચિત્તા સાશાનું પણ એપ્રિલમાં મોત થયું હતું. સાશાની કિડની ખરાબ હોવાથી તેનું મોત થયું હતું. 

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી

ઉલ્લેખનિય છે કે, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ અધિકારીએ ગત એપ્રિલમાં દાવો કર્યો હતો કે, મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી. આ નેશનલ પાર્ક 748 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 487 ચોરસ કિલોમીટર બફર ઝોનમાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ચિત્તાને તેના હલનચલન માટે લગભગ 100 ચોરસ કિલોમીટરની જરૂર પડે છે. WII ના ભૂતપૂર્વ ડીન યાદવેન્દ્રદેવ વિક્રમસિંહ ઝાલાએ કહ્યું હતું કે, કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવેલા ચિતાઓ માટે પૂરતી જગ્યા નથી. કુનો નેશનલ પાર્કમાં ખેતીનો ભાગ, જંગલી રહેઠાણ અને વિસ્તારની અંદર રહેતા અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેઓએ એ પણ સૂચવ્યું કે મેટાપોપ્યુલેશન તરીકે સંચાલિત બહુવિધ વસ્તી સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે, જ્યાં પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે.

Tags :