પંજાબના પઠાનકોટમાં મળ્યો જીવતો બોમ્બ, સેનાએ કર્યો ડિફ્યૂઝ, બ્લાસ્ટથી વિસ્તાર ધણધણી ઉઠ્યો
Live Bomb Found in Pathankot : પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના પઠાણકોટમાં એક જીવતો બોમ્બ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પઠાણકોટના મલિકપુર વિસ્તારમાં ઝાડીઓમાંથી બોમ્બ મળી આવ્યો હતો. જે પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ સેનાના જવાનોએ બોમ્બને સલામત સ્થળે લઇ જઇને ડિફ્યુઝ કર્યો હતો. આ બોમ્બના વિસ્ફોટથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.
મોટી જાનહાની ટળી
નોંધનીય છે કે, જો આ બોમ્બ ઘીચ વસ્તીવાળા વિસ્તારમાં વિસ્ફોટ થયો હોત તો ભારે જાનહાની થઇ હોત. 7 મેના રોજ ભારત દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર પછી ચાર દિવસ સુધી ચાલેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષના એક મહિના પછી પઠાણકોટમાં બોમ્બ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આટલા દિવસોના યુદ્ધવિરામ પછી પણ આ બોમ્બ ફરીથી પઠાણકોટ કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, પોલીસ અને સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી કે આ બોમ્બ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ખાલી પ્લોટમાં મળ્યો બોમ્બ
આ બોમ્બ પઠાણકોટના મલિકપુર ગામમાં એક પ્લોટમાં મળી આવ્યો હતો. પ્લોટના માલિક સુરજીતને શાકભાજીને પાણી આપતી વખતે બોમ્બ પર ધ્યાન પડતા તેણે તરત જ પોલીસને જાણ કરી. જે પછી સેનાની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી અને બોમ્બને દૂર સુરક્ષિત જગ્યાએ લઇ જઇને ડિફ્યુઝ કર્યો. પોલીસે લોકોને કોઈપણ શંકાસ્પદ વસ્તુ વિશે તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવા જણાવ્યું છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં ચિંતાનું વાતાવરણ છે.
પઠાણકોટ પાકિસ્તાનનું નિશાન હતું
નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના લશ્કરી સંઘર્ષમાં, પંજાબનું પઠાણકોટ શહેર પાકિસ્તાનનું નિશાન હતું. પાકિસ્તાને પઠાણકોટ એરબેઝ અને લશ્કરી છાવણીઓ પર અનેક ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. વર્ષ 2015 માં, પઠાણકોટ એરબેઝ પર એક ઘાતક આતંકવાદી હુમલો પણ થયો હતો.