કાયદાકીય સહાયતા કરવી એ દાન કે મદદ કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ નૈતિક કર્તવ્ય છે : CJI બી.આર.ગવઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJI BR Gavai : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર.ગવઈએ કાયદાકીય સેવા દિવસના સમાપન સમારોહમાં આજે (9 નવેમ્બર) કહ્યું કે, ‘કાયદાકીય મદદ કરવી એ માત્ર દાન કે મદદ કરવાનું કામ નથી, પરંતુ તે નૈતિક કર્તવ્ય છે. કાયદાકીય સહાયના કાર્યમાં જોડાયેલા લોકોએ વહીવટી દૃષ્ટિ અને કલ્પના સાથે પોતાની ફરજ નિભાવવી જોઈએ, જેથી કાયદાનું શાસન દેશના દરેક ખૂણા સુધી પહોંચી શકે.’
‘ખર્ચ અને હસ્તક્ષેપ ખરેખર જરૂરિયાતમંદોને મદદરૂપ થવા જોઈએ’
ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું કે, ‘રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ (NALSA) અને રાજ્ય કાયદાકીય સેવા સત્તામંડળમાં એક સલાહકાર સમિતિ બનાવવામાં આવે, જેમાં વર્તમાન કાર્યકારી અધ્યક્ષ અને ભવિષ્યના બે-ત્રણ કાર્યકારી પ્રમુખોનો સમાવેશ થાય, જેથી નીતિ નિર્માણમાં સાતત્ય જળવાઈ રહે. તેમણે ન્યાયના પ્રશાસકની જેમ વિચારવું જોઈએ, યોજના બનાવવી જોઈએ, સંકલન કરવું જોઈએ અને નવીનતા લાવવી જોઈએ, જેથી દરેક ખર્ચ-મુલાકાત-દરમિયાનગીરી ખરેખર જરૂરિયાતમંદની મદદ કરી શકે.’
CJI ગવઈ 23 નવેમ્બરે થશે નિવૃત્ત
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગવઈ આગામી 23 નવેમ્બરે CJI પદેથી નિવૃત્ત થવાના છે. આ કાર્યક્રમમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ સહિત અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ ગવઈએ તેમના કાર્યકાળ દરમિયાન NALSAના અધ્યક્ષ તરીકે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વિક્રમ નાથના સહયોગની પ્રશંસા કરી હતી.








