India

'બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે...', બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો

By GS TEAM
28 Sep 20253 mins read
TukuTouch Logo
બિહારના વિપક્ષ નેતા તેજસ્વી પ્રસાદ યાદવે નીતિશ કુમાર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું કે એવો કોઈ વિભાગ બાકી નથી, જ્યાં કૌભાંડ ન હોય. મુખ્યમંત્રીએ આગળ આવીને આ મામલે જવાબ આપવો જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે...', બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો

Tejaswi Yadav On Bihar Corruption: બિહારના વિપક્ષ નેતા તેજસ્વી પ્રસાદ યાદવે નીતિશ કુમાર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું કે એવો કોઈ વિભાગ બાકી નથી, જ્યાં કૌભાંડ ન હોય. મુખ્યમંત્રીએ આગળ આવીને આ મામલે જવાબ આપવો જોઈએ. 

ઉલ્લેખનીય છે, જન સૂરજના પ્રશાંત કિશોરે સરકારના મંત્રીઓ અશોક ચૌધરી, મંગલ પાંડે, સમ્રાટ ચૌધરી, ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ અને ભાજપના એક સાંસદ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે.

ભ્રષ્ટ અધિકારીઓથી ત્રસ્ત

વિપક્ષી નેતાએ કહ્યું કે બિહારમાં JDU-BJP કરતાં ભ્રષ્ટ અધિકારીઓથી વધુ ત્રસ્ત છીએ. ખાસ કરીને DK ગેંગની છત્રછાયા હેઠળ કામ કરતા લોકો ખાસ ચિંતિત છે. આ જ અધિકારીઓએ ગયા વખતે વિપક્ષને સત્તામાં આવતા અટકાવ્યો હતો. પરંતુ આ વખતે જનતા સતર્ક બની છે. મહાગઠબંધન સરકારની રચના સાથે, આવા ભ્રષ્ટ અધિકારીઓ મુશ્કેલીમાં મુકાશે.

એન્જિનિયરના ઘરેથી કરોડોની સંપત્તિ મળી આવી

તેજસ્વી યાદવે દાવો કર્યો કે, એન્જિનિયરના ઘરેથી કરોડોની મિલકત મળી રહી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દેશ અને દુનિયાભરમાં અધિકારીઓ અને મંત્રીઓ તેમના પુત્રો, પુત્રીઓ અને સંબંધીઓના નામે રોકાણ કરી રહ્યા છે. મારી પાસે તે તમામની યાદી છે, જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. વડાપ્રધાને જાહેર સભામાં 31 કૌભાંડોની યાદી આપી હતી. જો તેમની પાસે ED અને CBI છે, તો કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી? જ્યારે કોઈ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે, ત્યારે વિપક્ષ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચોઃ 957 કરોડનો ધૂમાડો છતાં ગુજરાતમાં હવા-પાણી પ્રદૂષિત, સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે

પ્રશાંત કિશોરે પણ મૂક્યો ભ્રષ્ટાચારનો આરોપ

અગાઉ, પ્રશાંત કિશોરે પણ આરોપ મૂક્યો હતો કે, JDU-BJP નેતાઓ અને સરકારી મંત્રીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે તેમના હોદ્દા અને પ્રભાવનો દુરુપયોગ કર્યો હતો. PKના જણાવ્યા મુજબ, મંત્રી અશોક ચૌધરીએ 200 કરોડ રૂપિયાથી વધુની જમીન ખરીદવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. બધી જમીન અશોક ચૌધરીની પુત્રીની સગાઈ અને લગ્ન વચ્ચે ખરીદવામાં આવી હતી. અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રી પર મૂક્યો આરોપ

પીકેએ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડે પર દિલીપ જયસ્વાલ પાસેથી પૈસા લઈ મેડિકલ કોલેજને માન્યતા આપવામાં મદદ કરવા અને દિલ્હીમાં પત્નીના નામે ફ્લેટ ખરીદવાનો આરોપ મૂક્યો હતો. મંગલ પાન્ડેએ દિલીપ જયસ્વાલ પાસેથી 25 લાખ રૂપિયા ઉધારપેટે લીધા હોવાની સ્પષ્ટતા આપી હતી. પરંતુ પીકેએ આ જવાબ પર સામો પ્રહાર કરતાં કહ્યું હતું કે, તમારી પત્નીના બેન્ક એકાઉન્ટમાં રૂ. 2.13 કરોડ હતાં. આ રકમ ક્યાંથી આવી તેનો હિસાબ આપો.

દિલીપ જયસ્વાલ પર માઇનોરિટી મેડિકલ કોલેજનો ગેરકાયદેસર રીતે કબજો લેવાનો અને રાજેશ સાહની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે રાજકારણીઓ અને અધિકારીઓના સંબંધીઓને કોલેજમાં પ્રવેશ આપ્યો અને તેમને ડોક્ટર બનાવ્યા. તેમણે રાજેશ શાહ હત્યા કેસને દબાવવા માટે તત્કાલીન પોલીસ અધિક્ષક અને તપાસ અધિકારી સાથે સાંઠગાંઠ કરી. હત્યા કેસમાં રાજેશની માતા અને બહેન વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

બિહારના નાયબ મુખ્યમંત્રીની ડિગ્રી ખોટીઃ પ્રશાંત કિશોર

પ્રશાંતે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પર વારંવાર પોતાનું નામ બદલવાનો અને સાતમું ધોરણ પાસ કરવા છતાં ખોટી રીતે ડિગ્રી મેળવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કામરાજ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવાનો દાવો કર્યો છે, જ્યારે વાસ્તવિકમાં તેઓ મેટ્રિક પણ પાસ નથી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ડી.લિટ. ડિગ્રી મેળવી હતી.

પીકેએ સાંસદ સંજય જયસ્વાલ વિશે કહ્યું હતું કે, તેમણે પેટ્રોલ પંપ માટે ફોર લેન રોડનું એલાઈનમેન્ટ બદલાવ્યું હતું. તેમણે જયસ્વાલના ભાઈના પંપમાંથી નકલી બિલ બનાવીને મહાનગરપાલિકાના નામે ઈંધણની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવ્યો. પીકેએ કહ્યું કે મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાના સફાઈ વાહનોના બિલના નામે પેટ્રોલ પંપને 5 કરોડ 86 લાખ રૂપિયા ચૂકવ્યા. સ્થાયી સમિતિની પાંચ બેઠકોમાં જાણવા મળ્યું કે આમાંથી મોટાભાગની ચૂકવણી નકલી હતી અને તે વધારે પડતી હતી. 15 ઓગસ્ટથી તેમના ભાઈના પંપમાંથી ઈંધણ ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.