Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે
Digital Address System Launch : ભારત જેમ વિવિધતાઓથી ભરેલો દેશ છે, એમ જ ગીચતા અને ગૂંચવણોથી પણ ભરેલો છે. સામાજિક કે સાંસ્કૃતિક નહીં, વાત છે ભૌગોલિક ગીચતાની. અંતરિયાળ ગ્રામ્ય પ્રદેશો તેમજ જંગલ અને પહાડી વિસ્તારમાં રહેલા લોકો સુધી પહોંચવું ઘણીવાર મુશ્કેલ બની જતું હોય છે, કેમ કે તેમના સરનામાં જ અધૂરા હોય છે. એ જ રીતે ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં પણ ઘણાં ઠેકાણા શોધવું અઘરું બની જતું હોય છે. આ સમસ્યાના ઉકેલરૂપે ભારત સરકાર Digipin લોન્ચ કરવા જઈ રહી છે. આ એક એવી યોજના છે જે દેશમાં કોઈ પણ વ્યક્તિનું સરનામું સરળતાથી છતું કરી દેશે.
શું છે Digipin ?
Digipin (ડિજિપિન) એટલે ‘ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર’. સાદી ભાષામાં કહીએ તો Digipin એટલે શબ્દોમાં નહીં આંકડા અને અક્ષરોમાં લખેલું સરનામું. પોસ્ટલ કોડથી વિપરીત નકશા કો-ઓર્ડિનેટ્સનો ઉપયોગ કરીને જે-તે સ્થળના ધરતી પરના ચોક્કસ સ્થાનને આધારે Digipin બનાવાશે. તે 10 આંકડાનો આલ્ફા ન્યુમેરિક કોડ હશે જે ઘર, દુકાન કે મકાનના ચોક્કસ લોકેશન તરફ નિર્દેશ કરશે. ઉદાહરણ તરીકે 7JVW52GR+2R એ આગ્રાના તાજમહાલનો Digipin છે. ગૂગલ મેપ પર આ કોડ નાંખતાં જ તાજ મહાલનું લોકેશન જડી જશે. એ જ પ્રકારે મારા, તમારા, આપણા સૌના સરનામાંને ચોક્કસ પ્રકારના Digipin અપાશે.
Digipinની જરૂર કેમ પડી?
ભારતમાં સરનામું શોધવાની જફા જેવીતેવી નથી. ગામડાં, જંગલ અને ડુંગરાળ પ્રદેશોમાં વસતા લોકોના ચોક્કસ સરનામે પહોંચવામાં પડે છે, એવી જ તકલીફ મહાનગરોમાં ફાલેલી-ફૂલેલી ગીચ ઝૂંપડપટ્ટીમાં અમુક-તમુક વ્યક્તિનું ઠેકાણું શોધવામાં પણ નડે છે. સરનામાં અધૂરા હોય કે સ્પષ્ટ દિશાનિર્દેશ આપે એ રીતે લખેલા ન હોય તો સમયસર યોગ્ય સરનામાંનો ‘થપ્પો’ ન થતાં સરકારી અને ખાનગી કંપનીઓ જે-તે સ્થળે પાર્સલ/કુરિયર/માલસામાન પહોંચાડી શકતી નથી. એવી ચીજો ફરી જ્યાંથી આવેલી હોય ત્યાં પરત કરવી પડે છે. આ બધાંમાં પૈસાનો વ્યય થાય છે. એક અંદાજ મુજબ આમ થતાં દેશને વાર્ષિક લગભગ રૂ. 1000થી 1400 કરોડનું નુકસાન થાય છે. આમ થતું અટકે એ માટે સચોટ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ વિકસાવનાની જરૂરત સર્જાઈ છે.
આ પણ વાંચો : PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી
Digipin થી કોને-કોને ફાયદો થશે?
- Digipin ને કારણે ઓનલાઈન શોપિંગ કરનારા લોકોને તેમણે ખરીદેલો માલસામાન સમયસર મળી જશે.
- એ જ રીતે ફૂડ ડિલિવરી, કુરિયર સેવા આપનારા અને ટપાલ ખાતાનું કામ પણ Digipin ને લીધે સરળ બનશે.
- સરકારી કામકાજ માટે સરનામાંની ખરાઈ કરવાની થશે ત્યારે Digipin ને લીધે એ કામ ઝડપી બનશે.
- કટોકટીની સ્થિતિમાં ક્યાંય પણ મેડિકલ સહાય પહોંચાડવાની થશે ત્યારે Digipin કામ સરળ બનાવશે.
- યુદ્ધ જેવી સ્થિતિમાં પણ Digipin ને પ્રતાપે જે-તે સ્થળનો પતો આસાનીથી લગાવી શકાશે.
- સરનામું શોધવા માટે કોઈ દેખીતું ‘લેન્ડમાર્ક’ જ નથી, એવા જંગલ-પહાડી વિસ્તારોમાં પણ Digipin થકી ચોક્કસ સ્થાને પહોંચી શકાશે.
Digipin છેતરપિંડી અટકાવશે
ખોટું સરનામું આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાનું કામ મુશ્કેલ બનશે, કેમ કે કોઈપણ વ્યક્તિ પોતાનો Digipin પોતાની મરજી મુજબ બદલી નહીં શકે.
પ્રજાની પ્રાઇવસી જળવાશે
હાલ દેશમાં સરનામાંની વિગતોનું સંચાલન કરવા માટે કોઈ યોગ્ય સિસ્ટમ કે નિયમો નથી. ઘણી કંપનીઓ લોકોના સરનામાંની માહિતી એકત્રિત કરીને પછી લોકોની મંજૂરી વિના જ તેને અન્ય કંપનીઓને વેચી દે છે. આ રોકવા માટે પણ સરકાર એવો નિયમ લાગુ કરવા માંગે છે કે સરનામાનો ડેટા ફક્ત ત્યારે જ શેર કરવામાં આવે જ્યારે કોઈ વ્યક્તિ સ્પષ્ટ મંજૂરી આપે. સરકારી અને ખાનગી પ્લેટફોર્મ પર લોકોના સરનામાંની વિગતો સુરક્ષિત રહે એ મુદ્દો પણ Digipin યોજનામાં આવરી લેવાશે.
Digipin કઈ રીતે વાપરવાનું હશે?
તમે કોઈ વસ્તુની ઓનલાઈન ખરીદી કરો ત્યારે કે પછી કોઈ વ્યક્તિને તમારા ઘરનું સરનામું આપો ત્યારે એને તમારો Digipin આપી શકશો. ત્યાર પછી તે પોતાના મોબાઈલમાં એ Digipin નાંખીને તમારું સરનામું શોધી શકશે. આમ કરવાથી સરનામું હાથેથી લખવામાં થતી ગરબડ ટાળી શકાશે.
Digipin પ્રોજેક્ટ પર કોણ કામ કરી રહ્યું છે?
કેન્દ્ર સરકાર ભારતના ‘ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (DPI) માં ડિજિટલ સરનામાનો પણ સમાવેશ કરવા માંગે છે. આ કામ દેશના ટપાલ ખાતાને સોંપાયું છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ પ્રોજેક્ટ પર નજર રખાઈ રહી છે. યોજનાનો ડ્રાફ્ટ જાહેર પ્રતિસાદ માટે ટૂંક સમયમાં બહાર પડાશે. આ વર્ષના અંત સુધીમાં અંતિમ તબક્કામાં પહોંચવાની આશા છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી Digipin સિસ્ટમ આધાર કાર્ડ અને UPI જેટલી જ સહજતાથી ભારતીય નાગરિકના રોજિંદા જીવનનો એક ભાગ બની જશે.