(પીટીઆઇ) બારાબંકી, તા. 28 મે, 2019, મંગળવાર
ઉત્તર પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોનાં મોત થયા છે અને અન્ય ૪૦ લોકો સારવાર હેઠળ છે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે. યોગી આદિત્યનાથ સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. આ તપાસમાં રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હોવાની શક્યતાને પણ ધ્યાનમાં લેવાશે.
મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્યો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ૧૦ એક્સાઝ અને બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
યોગી સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિને ૪૮ કલાકની અંદર પોતાનો અહેવાલ સુપ્રત કરવાનો આદેશ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સોમવારની રાતે રાનીગંજ અને આસપાસના ગામોના લોકોએ રામનગર વિસ્તારની એક દુકાનમાંથી દારૂ ખરીદ્યો હતો. જો કે તેઓ મંગળવાર વહેલી સવારે બિમાર પડતા તેમને રામનગરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતાં.


