લાલ બહાદુર શાસ્ત્રીની અપીલ પર દેશભરના લોકો રાખતા સપ્તાહમાં એક દિવસ ઉપવાસ
નવી દિલ્હી, 1 ઓક્ટોબર 2019, મંગળવાર
2 ઓક્ટોબર 2019ના રોજ ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની 116મીં જયંતી છે. સાદગીભર્યું જીવન જીવતા શાસ્ત્રીજી એક કુશળ નેતૃત્વવાળા ગાંધીવાદી નેતા હતા.
ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં 2 ઓક્ટોબર 1904 માં જન્મેલા શાસ્ત્રીનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. એક ગરીબ કુટુંબમાંથી આવતા અને સૌથી મોટી લોકશાહીના કુશળ નેતૃત્વ કરનાર શાસ્ત્રીજીએ વિશ્વને સંદેશ આપ્યો હતો કે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય તો તે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે.
સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અવસાન પછી સમગ્ર દેશવાસીઓમાં એક જ સવાલ હતો કે હવે પછીના વડાપ્રધાન કોણ હશે? નહેરુના અવસાન પછીના બે અઠવાડિયામાં જ લાલ બહાદુર શાસ્ત્રી દેશના બીજાવડા પ્રધાન બન્યા. તેમના વડાપ્રધાનપદ દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી દેશને અનેક સંકટોમાંથી બહાર લાવ્યા હતા.
1965 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રીના હાથમાં દેશની બાગડોર હતી. યુદ્ધ દરમિયાન દેશમાં અનાજની અછત હતી. દેશ ભૂખમરાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યો હતો. તે સંકટ દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમનો પગાર લેવાનું બંધ કરી દીધું હતું. ઉપરાંત તેણે પોતાના ઘરે કામ કરવા આવતા નોકરોને પણ કામ પર આવવાની ના પાડી અને ઘરના તમામ કામ તે જાતે કરવા લાગ્યા.
દેશ અનાજની અછત સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. અમેરિકાએ ભારતમાં અનાજની નિકાસ બંધ કરવાની પણ ચીમકી આપી હતી. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રીએ દેશની જનતાને અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખવા અપીલ કરી હતી.
એટલું જ નહીં, તેમણે દેશવાસીઓ સમક્ષ એક દાખલો બેસાડ્યો કે તેમના કુટુંબમાં એક અઠવાડિયા સુધી સાંજે સ્ટવ સળગાવશે નહીં. તેમની ઘોષણાને એવી અસર પડી હતી કે તેના પછીના કેટલાક દિવસો માટે મોટાભાગની રેસ્ટોરન્ટ્સ અને હોટલોમાં પણ તેનું પાલન થયું હતું.