India

'અમને તો લાગ્યુ કે દુનિયા ખતમ થઈ ગઇ...' કિશ્તવાડના પીડિતોએ સંભળાવી આપવીતી

By GS Team
15 Aug 20253 mins read
This article was originally published on 15 Aug 2025
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે લગભગ 12:25 વાગ્યે વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ. ઘરો, લંગર સ્થળો અને વાહનો તણખલાની જેમ તણાઈ ગયાં. અત્યાર સુધી 46 મૃતદેહો મળી આવ્યા છે અને લગભગ 120 લોકો ઘાયલ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમને તો લાગ્યુ કે દુનિયા ખતમ થઈ ગઇ...' કિશ્તવાડના પીડિતોએ સંભળાવી આપવીતી

Kishtwar Cloudburst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે લગભગ 12:25 વાગ્યે વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ. ઘરો, લંગર સ્થળો અને વાહનો તણખલાની જેમ તણાઈ ગયાં. અત્યાર સુધી 46 મૃતદેહો મળી આવ્યા છે અને લગભગ 120 લોકો ઘાયલ થયા છે.

69થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, લંગરવાળા અને સુરક્ષાકર્મીઓ હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસ-પ્રશાસન, સેના અને સુરક્ષા દળોએ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. રાત્રે યાત્રા માર્ગ પર અંધારું થવાના કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું.

અત્યાર સુધીમાં 167 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવવામાં આવ્યા

વરસાદ હોવા છતાં, પોલીસ, આર્મી, NDRF, SDRF અને સ્થાનિક લોકો કાટમાળ નીચે દટાયેલા જીવતા લોકોને શોધવામાં લાગેલા છે. રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે પ્રશાસને ઘણા અર્થ-મૂવર્સ તૈનાત કર્યા છે, જેનાથી મોટા પથ્થરો, ઉખડેલા વૃક્ષો અને વીજળીના થાંભલા હટાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 167 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવવામાં આવ્યા છે.

આખું ગામ તબાહ

આ દુર્ઘટનામાં 16 રહેણાંક મકાનો, સરકારી ઈમારતો, ત્રણ મંદિરો, ચાર પાણીની ચક્કીઓ અને એક 30 મીટર લાંબો પુલ તણાઈ ગયા છે. એક ડઝનથી વધુ વાહનો પણ આ પૂરની ઝપેટમાં આવીને નાશ પામ્યા છે. પૂરથી એક અસ્થાયી બજાર, લંગર સ્થળ અને એક સુરક્ષા ચોકી પણ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે.

હોસ્પિટલમાં સ્વજનોની શોધમાં પરિવારજનો

મચૈલ માતા મંદિરની યાત્રા માટે ગયેલા ચશોટી ગામમાં બનેલી આ ભયાનક ઘટનાથી ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવારો આઘાતમાં છે. કેટલાક લોકો હોસ્પિટલમાં પોતાના ગુમ થયેલા સંબંધીઓને શોધવા આવ્યા છે. તેમના હાથમાં તેમના પ્રિયજનોની તસવીરો છે, હોસ્પિટલનો સ્ટાફ પણ ઓછો પડી રહ્યો છે, પરંતુ SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ)ના જવાનો દર્દીઓને વોર્ડ અને લેબ સુધી લઈ જવામાં મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત

પીડિતોની આપવીતી

ઘટનામાં ઘાયલ થયેલાં એક મહિલાએ કહ્યું હતું કે, 'અમને લાગ્યું કે દુનિયા ખતમ થઈ ગઈ. ચારે બાજુ બસ પાણી અને પથ્થરો જ દેખાતા હતા. અમે જેમ તેમ બચીને અહીં પહોંચ્યા છીએ.' જ્યારે અન્ય એક ઘાયલ મહિલા, જે ઈજાને કારણે બોલી શકતી નથી, પરંતુ તેની આંખો તેનું દર્દ કહી રહી છે.

આ ઘટનામાં એક છોકરો પણ ખરાબ રીતે ઘાયલ થયો છે, તેની માતા કહે છે કે, 'મારો દીકરો, મારું સર્વસ્વ... બસ તેને બચાવી લો. તે બહુ નાનો છે, હજુ તો તેનું જીવન શરૂ થયું છે.'

પોતાના પરિવારજનોની શોધમાં આવેલા એક ભાઈ રડતાં રડતાં પોતાની ભાભીની તસવીર બતાવે છે અને કહે છે, 'મારા ભાભી ગુમ છે. અમે બધા બહુ પરેશાન છીએ. ખબર નથી તે ક્યાં હશે, કેવી હાલમાં હશે.'

વળી, પોતાના દીકરાની શોધમાં હોસ્પિટલ પહોંચેલા અનુજ કુમાર પણ બેબાકળા લાગતા હતા, તેઓ કહે છે, 'મારો દીકરો ક્યાં છે? તેને હમણાં જ ઘરે પાછા આવવાનું હતું. હું તેને શોધવા માટે બધી જગ્યાએ જઈ રહી છું.' જ્યારે અન્ય એક વ્યક્તિ કહે છે, 'મારી બે બહેનો ગુમ છે. અમે બધી જગ્યાએ શોધી લીધું, પણ તે નથી મળી રહી. ભગવાન કરે તે સુરક્ષિત હોય.'

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે

સેના પણ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. સેનાની વ્હાઈટ નાઈટ કોર્પ્સએ X પર પોસ્ટ કર્યું હતું કે, 'કિશ્તવાડના ચશોટી ગામમાં માનવતાવાદી અને ડિઝાસ્ટર રાહત અભિયાન ચાલુ છે, જ્યાં વ્હાઈટ નાઈટ કોર્પ્સના સમર્પિત સૈનિકો પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને દુર્ગમ વિસ્તારોનો સામનો કરતા ઘાયલોને બહાર કાઢવામાં લાગેલા છે. સર્ચ લાઈટ, દોરડા અને ખોદકામના ઓજારોના રૂપમાં રાહત સામગ્રી આગળ વધારવામાં આવી રહી છે.'