દિલ્હીવાસીઓને ગૂંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત : પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Pollution : દિલ્હીનું હવાનું પ્રદૂષણ દિવસે ને દિવસે બગડતું જઈ રહ્યું છે. રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સતત વધારો થતા અહીંના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ મામલે સામાજિક કાર્યકર્તા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ફરી ચિંતા વ્યક્ત કરી છે.
વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી કરો : કિરણ બેદી
કિરણ બેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ કરીને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને ગંભીર વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી નક્કી કરવા અપીલ કરી છે. તેમણે સરકાર પાસે આ સંકટ પર શ્વેત પત્ર જાહેર કરવાની માંગ કરી છે.
‘સરકારે રોડમેપ તૈયાર કરવો જોઈએ’
કિરણ બેદીએ એક્સ પર લખ્યું છે કે, રાજધાનીમાં લાંબા સમયથી વાયુ ગુણવત્તા કેમ વધી રહી છે, તેની તપાસ થવી જોઈએ. ગુણવત્તા સુધારવામાં નિષ્ફળ ગયેલી સંસ્થાઓની ઓળખ કરીવી જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ સુધારવા માટે તાત્કાલિક, ટૂંકા સમયનું અને લાંબા સમય ગાળાનું રોડમેપ તૈયાર કરીને નાગરિકો સમક્ષ રજૂ કરવો જોઈએ.
દિલ્હીવાસીઓની સ્થિતિ જોઈ કિરણ બેદીએ દુઃખ વ્યક્ત કર્યું
દિલ્હીની હવાની ગુણવત્તા સતત ખરાબ થતા બેદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘હું શહેરના લોકોને પીડિત થતા ન જોઈ શકું. મેં આખું જીવન રાજધાની દિલ્હીને આપ્યું છે. ખૂબ જ ખરાબ હવામાનમાં દિલ્હીવાસીઓ ગૂંગળાતા અને હાંફતા જોવા મળી રહ્યા છે, જે જોઈને મને દુઃખ થઈ રહ્યું છે.
કિરણ બેદીએ શ્વૈત પત્ર જાહેર કરવાની માંગ કરી
તેમણે એક્સ પર બે બાગમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે પ્રથમ ભાગમાં લખ્યું છે કે, શું વાયુ પ્રદૂષણના વર્તમાન પડકાર પર એક શ્વેત પત્ર તૈયાર કરી શકાય છે? આ પત્રમાં પાછલી જવાબદેહી નક્કી કરવી, વર્તમાન સંકટનું કારણ શું છે અને કોણે તથા કઈ બાબતોએ આપણને નિષ્ફળ કર્યા તે સ્પષ્ટ થવું જોઈએ.
બીજા ભાગમાં બેદીએ સવાલ કર્યો છે કે હવે આપણે આ પ્રદૂષણને અટકાવવા માટે ક્યાં જઈશું? તાત્કાલિક, અલ્પકાલિક અને દીર્ઘકાલિક ઉપાયો શું છે? તે કોના દ્વારા અને કેવી રીતે કરવામાં આવશે? શું તે પ્રસ્તાવિત સમય-સીમા સાથે હશે? તેમણે સંબંધિત વિભાગો અને સામાન્ય જનતાના સહયોગની પણ વાત કરી છે, કારણ કે દરેક વ્યક્તિ આ સમસ્યા માટે યોગદાનકર્તા અને ઉકેલ બંને છે.
જમીની નિરીક્ષણને પ્રાથમિકતા આપો : કિરણ બેદી
ઉલ્લેખનીય છે કે, અગાઉની પોસ્ટમાં કિરણ બેદીએ કહ્યું હતું કે, તે દિલ્હીને 'ગૂંગળાતા અને હાંફતા' જોઈ રહી છે. તેમણે અધિકારીઓને કાગળની કાર્યવાહીના બદલે જમીની નિરીક્ષણને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. તમામ ઉપાયો છતાં દિલ્હીમાં AQI છેલ્લા બે અઠવાડિયાથી ખૂબ જ ખરાબ અને ગંભીર શ્રેણીઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક, શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર








