Get The App

મધ્યપ્રદેશના ખજુહારોમાં બનશે દેશનું સૌથી મોટું એરબેઝ, 1000 એકર જમીનને લીલીઝંડી

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
મધ્યપ્રદેશના ખજુહારોમાં બનશે દેશનું સૌથી મોટું એરબેઝ, 1000 એકર જમીનને લીલીઝંડી 1 - image

Khajuraho Set to Host India's Largest Airbase : મધ્યપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ખજુરાહોને ટૂંક સમયમાં દેશના સૌથી મોટા એરબેઝની ભેટ મળવા જઈ રહી છે. આ એરબેઝ ભારતીય વાયુસેના (IAF)ના ફાઈટર જેટ અને અન્ય સૈન્ય વિમાનો માટે એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે કાર્ય કરશે. રક્ષા મંત્રાલયે આ મહત્વાકાંક્ષી પરિયોજના માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

1000 એકર જમીનની ફાળવણીને મંજૂરી  

આ એરબેઝના નિર્માણ માટે ખજુરાહો એરપોર્ટની નજીક લગભગ 1000 એકર જમીન પસંદ કરવામાં આવી છે. જો તમામ સંમતિઓ મળી જશે, તો આવતા વર્ષથી જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થઈ શકે છે. આ એરબેઝ માત્ર ફાઇટર જેટ્સના સંચાલન માટે જ નહીં, પરંતુ સૈન્ય વિમાનોની અવરજવર અને જાળવણી માટે પણ એક મુખ્ય કેન્દ્ર બનશે.

ભાજપ નેતાએ આપી માહિતી 

ખજુરાહોના સાંસદ અને ભાજપના નેતા વિષ્ણુ દત્ત શર્મા (વી.ડી. શર્મા)એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખજુરાહો એરપોર્ટના બહેતર ઉપયોગ માટે તેઓ સતત રક્ષા મંત્રીના સંપર્કમાં હતા. તેમની કોશિશોના પરિણામે, તાજેતરમાં દેશના ચાર એરપોર્ટ (પ્રયાગરાજ, ઝાંસી અને ગ્વાલિયર સહિત)નો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખજુરાહો એરપોર્ટને એરબેઝ બનાવવા માટે સૌથી સુરક્ષિત અને સુવિધાજનક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશ માટે મહત્ત્વપૂર્ણ 

સાંસદ વી.ડી. શર્માએ વધુમાં કહ્યું કે એરબેઝ બનાવવા માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ પરિયોજના માત્ર ખજુરાહો માટે જ નહીં, પરંતુ સમગ્ર મધ્યપ્રદેશ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ખજુરાહોમાં એરબેઝ બનવાથી આ ક્ષેત્રનું વ્યૂહાત્મક અને આર્થિક બંને રીતે મહત્વ અનેકગણું વધી જશે તેવી અપેક્ષા છે.