કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Keralam Chief Minister selection 2026: કેરલમ વિધાનસભા ચૂંટણીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)ની શાનદાર જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને કોંગ્રેસમાં ભારે ગજગ્રાહ શરૂ થયો છે. ખાસ કરીને વી.ડી. સતીશને મુખ્યમંત્રી પદ સિવાય અન્ય કોઈ પણ ભૂમિકા સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં હાઇકમાન્ડ મૂંઝવણમાં મૂકાયું છે. આ પરિસ્થિતિ કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે સર્જાયેલા ટકરાવની યાદ અપાવી રહી છે.
મુખ્યમંત્રી પદ માટેના ત્રણ દાવેદારો અને હાઇકમાન્ડનું ગણિત
કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ અને સ્થાનિક નેતાઓ વચ્ચે પસંદગીને લઈને ભારે મતભેદ જોવા મળી રહ્યા છે. કે.સી વેણુગોપાલ રાહુલ ગાંધીની પ્રથમ પસંદગી હોવાનું મનાય છે અને રાજ્યના ધારાસભ્યોનું પણ તેમને સમર્થન છે. હાઇકમાન્ડ ઇચ્છે છે કે વેણુગોપાલ મુખ્યમંત્રી બને. જ્યારે વી.ડી. સતીશન જનતાની પસંદગી હોવાનું કહેવાય છે અને UDFના સાથી પક્ષ IUML(મુસ્લિમ લીગ)નું પણ તેમને મજબૂત સમર્થન છે. તેઓ મુખ્યમંત્રી પદ સિવાય કોઈ ગૌણ ભૂમિકા સ્વીકારવા તૈયાર નથી. ઉપરાંત રમેશ ચેન્નીથલા પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે, જોકે હાઇકમાન્ડ તેમને વિધાનસભાના સ્પીકર બનાવવાનું વિચારી રહ્યું છે.
સતીશનનો બળવો અને હાઇકમાન્ડની નારાજગી
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇકમાન્ડ સતીશન અને ચેન્નીથલા દ્વારા કરવામાં આવતા પ્રેશર ટેક્ટિક્સથી નારાજ છે. તિરુવનંતપુરમમાં જ્યાં વેણુગોપાલના પોસ્ટરો લાગ્યા છે, ત્યાં સતીશનના સમર્થકો શક્તિ પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સતીશને અત્યાર સુધી ડાબેરીઓ સામેની લડાઈનું નેતૃત્વ કર્યું હોવાથી તેમને અવગણવા કોંગ્રેસ માટે આસાન નથી.
વેણુગોપાલ સામેના પડકારો
જો કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવામાં આવે, તો કોંગ્રેસ સામે બે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વેણુગોપાલે વિધાનસભાની પેટાચૂંટણી લડવી પડશે. તેઓ હાલમાં સાંસદ હોવાથી તેમની લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજવી પડશે, જે પક્ષ માટે વધારાની માથાકૂટ સાબિત થઈ શકે છે.
નિવેડા માટે રાહુલ ગાંધી એક્શનમાં
આ મડાગાંઠ ઉકેલવા માટે રાહુલ ગાંધીએ આવતીકાલે કેરલમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને વર્કિંગ પ્રેસિડેન્ટ્સની એક મહત્ત્વની બેઠક બોલાવી છે. દિલ્હીના વરિષ્ઠ નેતાઓ માને છે કે કેરલમ વિધાનસભાની મુદત 23 મે સુધી હોવાથી તેમની પાસે હજુ નિર્ણય લેવા માટે થોડો સમય છે. જોકે, અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રીઓએ શપથ લઈ લીધા હોવાથી કોંગ્રેસ પર જલ્દી નિર્ણય લેવાનું દબાણ વધી રહ્યું છે.








