કાશ્મીર: 'હાઈબ્રિડ આતંકવાદ' બન્યો સેના માટે પડકાર
શ્રીનગર, તા. 23 જુલાઈ 2022, શનિવાર
જમ્મુ-કાશ્મીરના પોલીસ પ્રમુખ દિલબાગ સિંહે શુક્રવારે કહ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાઓનો હાઈબ્રિડ આતંકવાદ અને તેમને શિક્ષિત કરવું એ એક પડકાર છે. તેમણે એ પણ ખાતરી આપી કે સશસ્ત્ર દળો આવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે અને પાકિસ્તાની એજન્સીઓની યોજનાઓને નિષ્ફળ બનાવશે. સિંહે કહ્યું કે, જે પણ આ હાઈબ્રિડ આતંકવાદનો ભાગ બને છે તે લાંબા સમય સુધી અજ્ઞાત કે અનામી રહેતો નથી અને તેને સજા આપવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ હાઈબ્રિડ આતંકવાદ પાકિસ્તાની એજન્સીઓ અને તેમના માસ્ટર્સ દ્વારા ખાસ કરીને નિર્દોષ નાગરિકોને મારવા માટે શોધાયેલ નવી વ્યૂહાત્મક ચાલ છે. તેઓ ઈચ્છે છે કે, પાપ કરવામાં આવે પરંતુ પાપીનો પર્દાફાશ ન થવો જોઈએ. સારી વાત એ છે કે, પાપી માટે અનામી રહેવાની કે પોતાની ઓળખ છુપાવવાની કોઈ જગ્યા નથી.
તેમણે ચેતવણી આપતા કહ્યું કે, આ હાઈબ્રિડ આતંકવાદ અને ભૂગર્ભ મોડ્યુલનો ભાગ બનેલા પાપીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. નિર્દોષોની હત્યામાં સામેલ લોકો સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાંથી ઘણાને ઓપરેશનમાં ખતમ પણ કરવામાં આવ્યા હતા.
દિલબાગ સિંહે કહ્યું કે, આતંકવાદ બધાને પ્રભાવિત કરે છે અને એટલા માટે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સેના તેનો વધુ કડકાઈથી સામનો કરશે. તેમણે કહ્યું કે, આ નવી રણનીતિનો મુકાબલો કરવા માટે પોલીસ દળ પર્યાપ્ત રૂપથી સજ્જ છે અને અન્ય સુરક્ષા દળ પણ બધા સહયોગ પ્રદાન કરી રહ્યા છે.
મે અને જૂન મહિના પહેલા બે અઠવાડિયામાં નાગરિકો, ઓફ-ડ્યુટી પોલીસ કર્મચારીઓ અને લઘુમતી સમુદાયોના સદસ્યો સહિત અનેક લોકોને ટાર્ગેટ બનાવીને હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ સશસ્ત્ર દળોએ આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરી દીધું હતું. એક બાદ એક એનકાઉન્ટરમાં અનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
દિલબાગ સિંહ અનંતનાગ જિલ્લામાં એક કાર્યક્રમમાં બોલ્યા હતા કે, તેમણે મહિલા અધિકારીઓ હેઠળ એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું જે દક્ષિણ કાશ્મીર રેન્જ માટે હશે. તેમણે પાકિસ્તાન પર કાશ્મીરમાં કિશોરોને ગેરમાર્ગે દોરવા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદી રેંકોમાં સામેલ થવા માટે તેને જોડ-તોડ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાની એજન્સીઓ અહીં ગંદકી ફેલાવવા માગે છે તથા યુવાઓ અને કાશ્મીરી સમાજને નુકશાન પહોંચાડવા માગે છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા આવું કરી રહ્યા છે જેનાથી કાશ્મીરને સૌથી વધુ નુકશાન થયું છે.
પોલીસ પ્રમુખે જણાવ્યું કે, સોશિયલ મીડિયાએ અહીં યુવાઓના કરિયરને નષ્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અને તેમના જીવનથી મૃત્યુ સુધીની યાત્રા શરૂ કરી છે. તેમણે કહ્યું કે, સારા વિદ્યાર્થીઓને પણ સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી રેન્કમાં જોડાવા માટે ફસાવવામાં આવે છે. અમે આવા સોશિયલ મીડિયા નેટવર્ક અને સરહદ પાર તથા અહીંના તેના સંચાલકો વિશે જાણીએ છીએ. આવા નેટવર્ક વિરુદ્ધના ઓપરેશનને વધુ મજબૂત બનાવવામાં આવશે.