Congress in Karnataka projects unity — but BJP calls it mere “drama” | કર્ણાટકમાં કોંગ્રેસની રાજ્ય સરકારમાં અંદરોઅંદર ડખાના કારણે છેલ્લા એક સપ્તાહથી રાજકારણ ગરમાયું છે. ડિ કે શિવકુમારના સમર્થકો સિદ્ધારમૈયાને હટાવી ડિ કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી રહ્યા હતા. ડી કે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે વાકયુદ્ધ પણ થયું. બંને નેતાઓએ કહ્યું હતું કે હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. સમગ્ર પોલિટિકલ ડ્રામા વચ્ચે ડી કે શિવકુમારે આજે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ઘરે મુલાકાત કરી અને સાથે નાસ્તો કર્યો. બાદમાં બંનેએ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી કે અમારા બંને વચ્ચે બધુ સારું છે, કોઈ મતભેદ નથી. એવામાં હવે સમગ્ર ઘટનાક્રમ મામલે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
બ્રેકઅપ પર મેકઅપ લગાવવા માટે થઈ મીટિંગ: ભાજપ
ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કયું છે કે બંને નેતાઓ પોતાના મતભેદો છુપાવવા માટે એકતાનું નાટક કરી રહ્યા છે. આ બ્રેકઅપ પર મેકઅપ કરવા માટેની મીટિંગ હતી. આ લોકો કહી રહ્યા છે કે કોઈ મતભેદ જ નથી. અગાઉ ખડગે કહી રહ્યા હતા કે જે પણ મુદ્દા છે તેનો ઉકેલ લાવવો પડશે. કોંગ્રેસના વધુ એક નેતા પરમેશ્વર કહી રહ્યા હતા કે હું પણ મુખ્યમંત્રી બની શકું છું. તો શું આ નેતાઓ જુઠ્ઠું બોલી રહ્યા હતા?
પૂનાવાલાએ વધુમાં કહ્યું કે બધાએ બંને નેતાઓ વચ્ચેની ટ્વિટર વોર પણ જોઈ લીધી. આજે આ બંને બેસ્ટ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના હકદાર છે. જોકે એક વાત તો સ્પષ્ટ છે કે આજે નાસ્તાના મેન્યૂમાં જનતાના મુદ્દા ક્યાંય હતા જ નહીં. માત્રને માત્ર સત્તાનું રાજકારણ.
આજે મુખ્યમંત્રીએ શું કહ્યું?
આજે સવારે શિવકુમાર સાથેની બેઠક બાદ પત્રકાર પરિષદમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે બંને સાથે જ છીએ, અમારી વચ્ચે કોઈ જ મતભેદ નથી. ભાજપ અને જેડીએસ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તો અમે તેનો સામનો કરીશું. ડી કે શિવકુમારે કહ્યું, કે અમારે જે સંદેશો આપવાનો હતો તે આપી દીધો. અમે કોંગ્રેસ પક્ષ માટે કટિબદ્ધ છીએ. મારે દિલ્હી જવાનું છે. કેટલાક મુદ્દાઓને લઈને કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ બેઠક કરવાની છે.
મુખ્યમંત્રી સાથે મતભેદોની ચર્ચા વચ્ચે શિવકુમારે વધુમાં કહ્યું, કે પક્ષ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અમે પક્ષના વફાદાર સિપાહી છીએ. પક્ષ અત્યારે મુશ્કેલ સમયથી પસાર થઈ રહ્યો છે.


