કર્ણાટકમાં CM ખુરશી ગુમાવશે? કોંગ્રેસમાં જ નિવેદનબાજી તેજ થતાં ખડગેએ આપી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Politics: કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો વેગવાન બની છે. તેમાં પણ પક્ષમાં જ નેતાઓ વચ્ચે આ ચર્ચાઓએ જોર પકડતાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અટકળો પર સ્પષ્ટતા આપી છે કે, મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય પક્ષના હાઇકમાન્ડ પાસે હોય છે. તમે કોઈપણ કારણોસર મુશ્કેલીઓ ઊભી કરશો નહીં.
CMએ પણ મતભેદોની વાતો ફગાવી
રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ડેપ્યુટી CM ડીકે શિવકુમાર સાથેના મતભેદોના અહેવાલોને ફગાવતાં દાવો કર્યો હતો કે, તેમની સરકાર પાંચ વર્ષ સુધી પર્વતની જેમ અડીખમ રહેશે. મૈસૂરમાં પત્રકારો સાથે વાત કરતાં સિદ્ધારમૈયાએ ડીકે શિવકુમારનો હાથ પકડી એકજૂટતા દર્શાવતાં કહ્યું હતું કે, અમારી સરકાર પાંચ વર્ષ સુધી પર્વતની જેમ અડીખમ રહેશે. અમે એક સાથે મળીને કામ કરીશું. કોંગ્રેસ મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાની મુલાકાત દરમિયાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, તે પક્ષ સંગઠનને મજબૂત બનાવવા આવ્યા છે. તે પોતાનું કામ કરશે અને સંગઠનને તાકાત આપશે.
વિપક્ષે કર્યો આ દાવો
વિપક્ષ નેતા આર. અશોકે સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, સિદ્ધારમૈયા આ વર્ષે દશેરાની ઉજવણીનું ઉદ્ધાટન કરી શકશે નહીં. સિદ્ધારમૈયા આ વર્ષના અંત સુધીમાં મુખ્યમંત્રીની ખુરશી છોડી દેશે. જો કે, સિદ્ધારમૈયાએ આ દાવાનો જવાબ આપતાં કહ્યું કે, હું અને ડીકે શિવકુમાર એકજૂટ છીએ. અમારી સરકાર પાંચ વર્ષ સુધી અડગ રહેશે. ભાજપ જૂઠાણું ફેલાવવામાં હોશિયાર છે. અમે તેમની વાતો પર ધ્યાન આપતા નથી. અમારી સરકાર સ્થિર છે.
કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલા સોમવારે કર્ણાટક પહોંચ્યા હતા. જ્યાં પક્ષના ધારાસભ્યો સાથે મુલાકાત કરી રહ્યા છે. તેઓ રાજ્યમાં સંગઠનાત્મક ફેરફારો કરવાની ચર્ચા વચ્ચે કર્ણાટકની મુલાકાતે છે. રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું હતું કે, સુરજેવાલાની આ મુલાકાતનો ઉદ્દેશ જાણવા મળી રહ્યો નથી. પરંતુ આ મુલાકાતને આપણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સાથે જોડી શકીએ. હાઇકમાન્ડની દખલગીરી તેમની જવાબદારી છે. જો નેતાઓ વચ્ચે નાના-મોટા મતભેદ હોય તો હાઇકમાન્ડ અવશ્ય દખલગીરી કરે છે.








