‘કોંગ્રેસ મારા માટે મંદિર, હું દિલ્હી જઈશ’, કર્ણાટકમાં CM પદને લઈને વિવાદ વચ્ચે શિવકુમારે મૌન તોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Political Crisis : કર્ણાટકની સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને ભારે ઉથલ-પાથલ ચાલી રહ્યો છે. રાજ્યમાં 2023માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી પદ માટે અઢી-અઢી વર્ષની ટર્મ અંગે તાજેતરમાં જ સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્મયંત્રી ડી.કે.શિવકુમારના અનેક નિવેદનો સામે આવતા રહ્યા છે. ત્યારે હવે શિવકુમારે ફરી મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
મને કશું જોઈતું નથી, મારો પક્ષ નિર્ણય લેશે : શિવકુમાર
મુખ્યમંત્રી પદને ચાલી રહેલા વિવાદને લઈને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે સ્પષ્ટ કહ્યું છે કે, ‘હું ચોક્કસપણે દિલ્હી જઈશ. તે (દિલ્હી) અમારું મંદિર છે. કોંગ્રેસનો ઈતિહાસ ઘણો લાંબો છે અને દિલ્હી હંમેશા અમને માર્ગદર્શન આપશે. જ્યારે તેઓ (કેન્દ્રીય નેતૃત્વ) મને, પક્ષના નેતાઓને અને મુખ્યમંત્રીને બોલાવશે, ત્યારે અમે ત્યાં જઈશું... મારી કોમ (સમુદાય) કોંગ્રેસ છે. હું ભલે કોઈ એક સમુદાયનો હોઉં અને તેમને તે ગમતું હોય, પરંતુ મારો પ્રેમ સમાજના તમામ વર્ગો માટે છે... મને કશું જોઈતું નથી, મારો પક્ષ (કોંગ્રેસ) નિર્ણય લેશે.’
શિવકુમારના સમર્થકો દિલ્હીમાં હાઈકમાન્ડને મળ્યા હતા
થોડા દિવસો પહેલા શિવકુમારના સમર્થનમાં ઘણા ધારાસભ્યો દિલ્હી જઈને હાઈકમાન્ડને મળ્યા હતા. આ દરમિયાન નેતાઓને ચેતવણી અપાઈ હતી કે, તેઓ મીડિયા સામે કોઈપણ કારણવગરનું નિવેદન ન આપે. ત્યારબાદ કોંગ્રેસ નેતા સુરજેવાલાએ કહ્યું હતું કે, પાર્ટીમાં કોઈપણ વિવાદ નથી, બધુ જ યોગ્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન ડી.કે.શિવકુમાર મૌન બેઠા હતા. જોકે હવે તેમણે મૌન તોડીને કોંગ્રેસ હાઈકમાન્ડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં મુખ્યમંત્રી પદ મુદ્દે કોંગ્રેસમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના અનેક નેતાઓ કહી ચુક્યા છે કે, મુખ્યમંત્રી પદ પર સિદ્ધારમૈયાની અઢી વર્ષની ટર્મ પુરી થઈ ગઈ છે અને હવે ડી.કે.શિવકુમારને અઢી વર્ષની ટર્મ સોંપવી જોઈએ. જોકે આ દરમિયાન શિવકુમાર એકપણ વખત બોલ્યા નથી કે, સિદ્ધારમૈયા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. તેથી એવી અટકળો છે કે, કોંગ્રેસ પાર્ટીની અંદર કંઈક તો ઉથલપાથલ થઈ રહી છે.
સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી પદે અઢી વર્ષ પૂર્ણ
ઉલ્લેખનિય છે કે, 20 મે-2023ના રોજ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. આ દરમિયાન સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવાયા હતા. આ દરમિયાન એવી ચર્ચા હતી કે, સીએમ પદ માટેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને શિવકુમાર (DK Shivakumar) અઢી-અઢી વર્ષ સત્તા સંભાળશે. જોકે તેની સત્તાવાર જાહેરાત થઈ ન હતી. આવી સ્થિતિમાં 20 નવેમ્બર-2025ના રોજ સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી તરીકે અઢી વર્ષ પુરા થઈ ગયા છે.
આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ









