'લાખોને કાબૂમાં રાખી શકાય તેટલો સ્ટાફ નથી', બેંગલુરુ પોલીસની ચેતવણી છતાં બેદરકારીએ 11નો જીવ ગયો
Bengaluru Stampede DCP Letter: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ IPL 2025નો ખિતાબ જીત્યા પછી ચોથી જૂનના રોજ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેના વિક્ટ્રી પરેડ દરમિયાન ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 11 લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન ડીસીપી એમ.એન. કરીબાસવનગૌડાનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેમણે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારને ભીડ, સ્ટાફનો અભાવ અને સુરક્ષા જોખમો અંગે ચેતવણી આપી હતી.
ડીસીપીની ચેતવણીમાં શું હતું?
ડીસીપી એમ.એન. કરીબાસવનગૌડાએ ચોથી જૂને કર્ણાટક સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'આરસીબીની લોકપ્રિયતાને કારણે લાખોની ભીડ એકઠી થઈ શકે છે, જ્યારે સુરક્ષા કર્મચારીઓની ભારે અછત છે. ચાહકોની મોટી ભીડને કારણે અપ્રિય ઘટનાઓ બની શકે છે. આ ઉપરાંત સંકુલમાં સીસીટીવીની અછત હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા બગડી શકે છે.'
ડીસીપીના પત્રમાં જણાવ્યું હતું કે, 'ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થા વચ્ચે કોર્ડિનેશના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું. એટલું જ નહીં, અન્ય જિલ્લાઓમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી.'
સરકારની બેદરકારી અને પરિણામ
ડીસીપીના પત્ર છતાં, સરકારે તેની અવગણના કરી અને કોઈ નક્કર પગલાં લીધાં નહીં. પરિણામે, બેંગલુરુમાં એક મોટો અકસ્માત થયો અને 11 લોકોએ જીવ ગુમાવ્યા.
બે ટોચના અધિકારીઓએ રાજીનામું આપ્યું
કેએસસીએ (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન)ના બે ટોચના અધિકારીઓ - સેક્રેટરી એ શંકર અને કોષાધ્યક્ષ જયરામ ભટે બેંગલુરુ નાસભાગ કેસમાં રાજીનામું આપ્યું છે. આ મામલે પ્રતિક્રિયા આપતા જયરામ ભટે કહ્યું હતું કે, 'હું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છે. અત્યાર સુધી આ મામલે સરકાર અને હાઈકોર્ટ તરફથી કોઈ નોટિસ મળી નથી. પરંતુ, જ્યારે પણ કેસની તપાસ શરૂ થશે, ત્યારે અમે સરકાર અને કોર્ટને સ્પષ્ટપણે કહ્યું છે કે KSCA તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.'