Meta ના ટ્રાન્સલેશન ટૂલનું ભોપાળું, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને 'સ્વર્ગીય' બતાવી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka CM Siddaramaiah Declared Dead by Meta Translation: કર્ણાટકમાં Meta કંપનીના ઓટો ટ્રાન્સલેશનથી ઘણો વિવાદ થયો છે. મેટાએ ફેસબુક પર મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોસ્ટ કરાયેલી એક પોસ્ટનું ભાષાંતર કર્યું અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મૃત જાહેર કરી દીધા હતા. જેના કારણે વિવાદ થયો હતો. આ ઉપરાંત સીએમ સિદ્ધારમૈયાએ પોતે પણ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો.
આ પછી, ઘણો વિવાદ થયો. સીએમ સિદ્ધારમૈયાએ પોતે આનો વાંધો ઉઠાવ્યો. આ પછી, મેટાએ માફી માંગી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પછી જ, મેટા બેકફૂટ પર આવી ગયું છે.
શું છે આખો મામલો?
કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બનાવવામાં આવેલી પોસ્ટ પર વિવાદ થયો હતો. આ પોસ્ટમાં સીએમ સિદ્ધારમૈયાએ અભિનેત્રી બી સરોજા દેવીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. જે મૂળ રૂપે કન્નડ ભાષામાં લખવામાં આવ્યું હતું. પરંતુ ઓટો ટ્રાન્સલેશનમાં તે સંપૂર્ણપણે ખોટું થઈ ગયું.
મેટાના ઓટો ટ્રાન્સલેશન ટૂલે સીમે સિદ્ધારમૈયાની પોસ્ટનું કન્નડમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું અને તેમને 'સ્વર્ગીય' જાહેર કર્યા, જેમાં લખ્યું હતું કે, Chief Minister Siddarmaiah Passed away Yesterday...જેનાથી સિદ્ધારમૈયા ગુસ્સે થયા અને તેમણે આ ભૂલ પર નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક સુધારાની માંગ કરી.
સીએમ સિદ્ધારમૈયાએ આ મામલે વાંધો ઉઠાવ્યો
આ મામલે કર્ણાટકના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતો મેઈલ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખાસ કરીને સરકારી સંદેશાવ્યવહારમાં જવાબદાર હોવા જોઈએ. નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્લેટફોર્મ પર અનુવાદ ઘણીવાર ખોટો હોય છે. મેટા પ્લેટફોર્મ પર કન્નડ ભાષાના નબળા ઓટો-ટ્રાન્સલેશનના કારણે યુઝર્સને ખોટી માહિતી મળી રહી છે. તેમજ તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે યુઝર્સ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. આથી મારા મીડિયા સલાહકારે ઔપચારિક રીતે આ પ્લેટફોર્મ્સની મૂળ કંપની મેટાને મેઈલ લખીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.'
મેટાને ઇમેઇલ મોકલવામાં આવ્યો
કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ મેટાને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે એક ઇમેઇલ મોકલ્યો છે. તેમણે જ્યાં સુધી સિસ્ટમ સંદર્ભ અનુસાર સચોટ ટ્રાન્સલેશન કરી શકે નહીં ત્યાં સુધી કન્નડથી અંગ્રેજી ટ્રાન્સલેશન સેવાને અસ્થાયી રૂપે બંધ કરવાની પણ સલાહ આપી છે.
મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર કે.વી. પ્રભાકરે જણાવ્યું હતું કે, 'અમે જોયું છે કે મેટાનું કન્નડથી અંગ્રેજીમાં ઓટો ટ્રાન્સલેશન ઘણીવાર ખોટું અને ક્યારેક ગેરમાર્ગે દોરનારું હોય છે. જ્યારે તે મુખ્યમંત્રી અથવા સરકાર સંબંધિત સત્તાવાર માહિતી હોય ત્યારે આ વધુ ખતરનાક બની જાય છે.' પ્રભાકરે ચેતવણી પણ આપી હતી કે સામાન્ય લોકો સમજી શકતા નથી કે તેઓ જે વાંચી રહ્યા છે તે ઓટો ટ્રાન્સલેશન છે, મૂળ સંદેશ નથી. તેમણે મેટાને કન્નડ ભાષાના નિષ્ણાતો અને વ્યાવસાયિકો સાથે મળીને ટ્રાન્સલેશન સિસ્ટમમાં સુધારો કરવા વિનંતી કરી.









