CM સિદ્ધારમૈયા અને શિવકુમારને લઈને નવી અપડેટ, દિલ્હી પ્રવાસ રદ, કાલે બંને સાથે નાસ્તો કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Politics Update: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને ઘમસાણ ચાલી રહ્યું છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, શનિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર મુખ્યમંત્રી આવાસ પર સાથે નાસ્તો કરશે. બંને નેતાઓ વચ્ચે આ બેઠક મુખ્યમંત્રી આવાસ કાવેરીમાં સવારે 9:30 વાગ્યે થશે. ડીકે શિવકુમાર સાથે બેઠકને લઈને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડે તેમને અને ડીકેને પોતાના વિખવાદો દૂર કરવા માટે એક બેઠક કરવા કહ્યું છે. એટલા માટે હાઈકમાન્ડના નિર્દેશોનું પાલન કરતા બંને નેતાઓ મુલાકાત કરશે.
ડીકે શિવકુમાર અને તેમના વચ્ચે સત્તાની કમાનને લઈને વિવાદના સમાચાર વચ્ચે મુખ્યમંત્રી તરફથી આ માહિતી આપવામાં આવી છે. થોડા સમય અગાઉ મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર દિલ્હી પણ ગયા હતા અને પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક પણ કરી હતી. જો કે, રાહુલ ગાંધી દેશની બહાર હતા એટલા માટે તેમની સાથે મુલાકાત ન થઈ શકી. બંને નેતાઓના દિલ્હીથી પરત ફર્યા બાદ નિવેદનબાજી શરૂ થઈ છે. કર્ણાટક સરકારનું એક જૂથ છે જે સિદ્ધારમૈયાને સપોર્ટ કરે છે તો બીજું ડીકે શિવકુમાર માટે ફિલ્ડિંગ કરી રહ્યું છે.
મને કશું જોઈતું નથી, મારો પક્ષ નિર્ણય લેશે : શિવકુમાર
મુખ્યમંત્રી પદને ચાલી રહેલા વિવાદને લઈને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે સ્પષ્ટ કહ્યું છે કે, ‘હું ચોક્કસપણે દિલ્હી જઈશ. તે (દિલ્હી) અમારું મંદિર છે. કોંગ્રેસનો ઈતિહાસ ઘણો લાંબો છે અને દિલ્હી હંમેશા અમને માર્ગદર્શન આપશે. જ્યારે તેઓ (કેન્દ્રીય નેતૃત્વ) મને, પક્ષના નેતાઓને અને મુખ્યમંત્રીને બોલાવશે, ત્યારે અમે ત્યાં જઈશું... મારી કોમ (સમુદાય) કોંગ્રેસ છે. હું ભલે કોઈ એક સમુદાયનો હોઉં અને તેમને તે ગમતું હોય, પરંતુ મારો પ્રેમ સમાજના તમામ વર્ગો માટે છે... મને કશું જોઈતું નથી, મારો પક્ષ (કોંગ્રેસ) નિર્ણય લેશે.’
સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી પદે અઢી વર્ષ પૂર્ણ
ઉલ્લેખનિય છે કે, 20 મે-2023ના રોજ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. આ દરમિયાન સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવાયા હતા. આ દરમિયાન એવી ચર્ચા હતી કે, સીએમ પદ માટેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને શિવકુમાર (DK Shivakumar) અઢી-અઢી વર્ષ સત્તા સંભાળશે. જોકે તેની સત્તાવાર જાહેરાત થઈ ન હતી. આવી સ્થિતિમાં 20 નવેમ્બર-2025ના રોજ સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી તરીકે અઢી વર્ષ પુરા થઈ ગયા છે.








