કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Karnataka Congress Crisis: કર્ણાટકમાં સત્તા પરિવર્તનની માંગ જોર પકડી ચૂકી છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના જૂથે અઢી-અઢી વર્ષના ફોર્મ્યુલા સાથે બેંગલુરુથી દિલ્હી સુધી મોરચો ખોલી દીધો છે. આ જૂથના નેતાઓ અને ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાખીને કોંગ્રેસ નેતૃત્વ પર નિર્ણય લેવા દબાણ વધારી રહ્યા છે.
બીજી તરફ સીએમ સિદ્ધારમૈયા પણ ખુરશી બચાવવા માટે એક્ટિવ મોડમાં આવી ગયા છે અને તેમણે લોબિંગ શરુ કર્યું છે. ગુરુવારે, સીએમ એ તેમના નજીકના નેતાઓ, જેમાં ગૃહમંત્રી જી. પરમેશ્વરા અને સતીશ જરકીહોલી સામેલ હતા, તેમની સાથે બેઠક યોજી હતી.
કર્ણાટકની રાજકીય સ્થિતિ પર CM સિદ્ધારમૈયાની મંત્રણા
કર્ણાટકની તાજેતરની રાજકીય સ્થિતિના સંદર્ભમાં, સીએમ સિદ્ધારમૈયાએ ગુરુવારે મુખ્યમંત્રી આવાસમાં તેમના નજીકના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમની સરકારના ગૃહ વિભાગના મંત્રી જી. પરમેશ્વરા, સતીશ જરકીહોલી, મહાદેવપ્પા, વેંકટેશ અને ધારાસભ્ય રાજન્ના જેવા નજીકના નેતાઓ હાજર રહ્યા હતા.
નિર્મલાનંદ નાથ સ્વામીએ ડીકેને CM બનાવવાની માંગ કરી
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને બેંગલુરુથી દિલ્હી સુધી જે રાજકીય ગરમાગરમી ચાલી રહી છે, તેની વચ્ચે હવે વોક્કાલિગા સમુદાયનો સૌથી મોટો મઠ પણ મેદાનમાં આવ્યો છે. આ મુખ્ય મઠ, આદિચુંચનગિરી મઠ, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ખુલ્લેઆમ સમર્થનમાં આવ્યું છે. મઠના પ્રમુખ નિર્મલાનંદ નાથ સ્વામીએ કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ એવી માંગણી કરી છે કે શિવકુમારને વહેલી તકે મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવે.
આ પણ વાંચો: મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન
કર્ણાટકમાં સત્તાના નેતૃત્વ પરિવર્તનના મુદ્દે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન પણ આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે, 'અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. બધા સાથે ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. હું એકલો નથી, અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હાઇકમાન્ડની ટીમ સર્વસંમતિથી નિર્ણય લેશે.'









