Get The App

જાણો કોણ હતા ભારતમાં મહિલાઓને મતાધિકાર અપાવનાર કામિની રાય

Updated: Oct 12th, 2019

GS TEAM

Google News
Google News
જાણો કોણ હતા ભારતમાં મહિલાઓને મતાધિકાર અપાવનાર કામિની રાય 1 - image


નવી દિલ્હી, 12 ઓક્ટોબર 2019, શનિવાર

કામિની રાયની 155મી જયંતી પર ગૂગલએ ખાસ ડૂડલ બનાવ્યું છે. કામિની રાય ભારતના ઈતિહાસમાં સ્નાતક થનાર પહેલી મહિલા હતી. તેમણે દરેક મહિલાને સમાન અધિકાર મળે તે માટે કામ કર્યું હતું. તેઓ એક બંગાળી કવિ, શિક્ષાવિદ અને સામાજિક કાર્યકર્તા હતા.

તેમનો જન્મ 12 ઓક્ટોબર 1864ના રોજ બંગાળના બસંદા ગામમાં થયો હતો જે હવે બાંગ્લાદેશના બારીસાલ જિલ્લામાં આવેલું છે. 12 ઓક્ટોબરના રોજ બ્રિટિશ ભારતના બંકરગંજ જિલ્લામાં જન્મેલી કામિની રાય એક પ્રમુખ પરીવારમાં મોટા થયા હતા. તેમના ભાઈને કલકત્તામાં મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની બહેન નેપાળના શાહી પરીવારની ડોક્ટર હતી. 

ગણિતમાં રુચિ હોવા છતાં કામિની રાય નાની ઉંમરથી જ કવિતા લખતા થયા હતા. 1886માં તેમણે બેથ્યૂન કોલેજથી સંસ્કૃતમાં ડિગ્રી સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. કોલેજમાં તેઓ એક અન્ય છાત્રા અબલા બોસને મળ્યા હતા જે મહિલાઓની શિક્ષામાં પોતાના સામાજિક કાર્ય માટે જાણીતા હતા અને તે વિધવાઓની સ્થિતિ સુધારવા કામ કરતા હતા. અબલા બોસ સાથે તેમની મિત્રતા થઈ અને તેમણે પણ મહિલાઓના અધિકાર માટે વકિલાત કરવાનું શરૂ કર્યું.

સમાજ સેવા કરવાની સાથે તેમણે સ્વતંત્રતા આંલોદનમાં પણ ભાગ લીધો હતો. 1883માં વાયસરોય લોર્ડ રિપનના કાર્યકાળ સમયે ઈલ્બર્ટ બિલ ગયું હતું જે અનુસાર ભારતીય ન્યાયાધીશોને એવા કેસમાં સુનાવણી કરવાનો અધિકાર આપવામાં આવ્યો જેમાં યૂરોપીય નાગરિક સામેલ હોય. યૂરોપીય સમુદાયએ તેનો વિરોધ કર્યો હતો પરંતુ ભારતીયોએ તેનું સમર્થન કર્યું જેમાંથી એક કામિની રાય હતા. 

વર્ષ 1909માં તેમના પતિ કેદારનાથ રાયનું નિધન થયું હતું. પતિના નિધન બાદ તેઓ સંપૂર્ણ રીતે મહિલાઓના અધિકાર માટેની લડાઈમાં જોડાઈ ગયા. તેમણે પોતાની કવિતાઓના માધ્યમથી મહિલાઓને તેમના અધિકાર માટે જાગૃત કર્યા. તેમણે આ કામ માટે એક આંદોલન પણ ચલાવ્યું અને વર્ષ 1926માં મહિલાઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો. 

તે સમયે ભારતીય મહાદ્વીપમાં મહિલાઓ પ્રતિ  કુપ્રથાઓ સમાજમાં હતી. તે સમયે કામિની રોયએ મહિલાઓના અધિકાર અને તેમના અભ્યાસની વકાલત કરી. ઉલ્લેખનીય છે કે સાહિત્યિક યોગદાનોમાં મહશ્વેતા પુંડરીક, પૌરાણિકી, દીપ ઓ ધૂપ, જીવન પાથેય, નિર્માલ્યા, માલ્યા ઓ નિર્માલ્યા અને અશોક સંગીતનો સમાવેશ થાય છે. તેમણે બાળકો માટે ગુંજન અને નિબંધોની એક પુસ્તક બાલિકા શિખર આર્દશ પણ લખી હતી. 

તેઓ જીવનના કેટલાક વર્ષો સુધી હજારીબાગમાં રહ્યા હતા. તેઓ મહેશ ચંદ્ર ઘોષ, ધીરેન્દ્રનાથ ચૌધરી જેવા વિદ્વાનો સાથે સાહિત્યિક વિષયો પર ચર્ચા  કરતા હતા. 27 ડિસેમ્બર 1933ના રોજ તેમનું નિધન થયું હતું. 

Tags :