મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક, જસ્ટિસ નાગરત્નાએ કર્યો હતો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Judge : કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આલોક અરાધે અને પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જજ તરીકેની બઢતીને મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત કાયદા મંત્રી અર્જુન મેઘવાલે ટ્વિટર પર કરી હતી. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં 32 જજ કાર્યરત હતા, જે સંખ્યા હવે 34 સુધી પહોંચી ગઈ છે. આ નવી નિમણૂકો સાથે સુપ્રીમ કોર્ટ હવે સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરશે.
કોલેજિયમની ભલામણ અને વિરોધ
આ નિમણૂકો માટે 25 ઓગસ્ટે કોલેજિયમ દ્વારા ભલામણ કરાઈ હતી. આ કોલેજિયમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, જે.કે. મહેશ્વરી અને બી.વી. નાગરત્નાનો સમાવેશ થાય છે. જો કે, જસ્ટિસ નાગરત્નાએ જસ્ટિસ પંચોલીની બઢતીનો વિરોધ કર્યો હતો.

જસ્ટિસ નાગરત્નાની દલીલ હતી કે, આ નિર્ણય સાથે હું સંમત નથી. જસ્ટિસ વિપુલ પંચોલીની વરિષ્ઠતા હજુ ઓછી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી જુલાઈ 2023માં તેમની પટણા હાઈકોર્ટમાં બદલી કરાઈ હતી. એ બદલી પણ અસામાન્ય હતી.
જસ્ટિસ વિપુલ પંચોલીનો કાર્યકાળ
જસ્ટિસ પંચોલીની મૂળ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ છે. તેમણે સપ્ટેમ્બર 1991માં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 1 ઓક્ટોબર, 2014ના રોજ તેઓ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 10 જૂન, 2016ના રોજ કાયમી જજ તરીકે નિમણૂક થઈ. આ દરમિયાન જુલાઈ 2023માં તેમની પટણા હાઈકોર્ટમાં બદલી થઈ હતી.
જસ્ટિસ આલોક અરાધેનો કાર્યકાળ
જસ્ટિસ અરાધેની 2009માં મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂક થઈ હતી. 2016માં તેઓ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં ટ્રાન્સફર થયા અને 2018માં ત્રણ મહિના માટે કાર્યકારી મુખ્ય જજ તરીકે પણ સેવા આપી. ત્યારબાદ તેઓ કર્ણાટક અને તેલંગાણા હાઈકોર્ટમાં પણ કાર્યકારી ચીફ જસ્ટિસ રહ્યા અને જુલાઈ 2023માં તેમને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા. જાન્યુઆરી 2025માં તેમની બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બદલી થઈ હતી.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજવા દાવેદારી કરાશે, મોદી કેબિનેટની મંજૂરી








