7 દેશોના મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો હાજર રહેશે
સુપ્રીમ સહિતની કોર્ટોમાં પેન્ડિંગ કેસોના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પર ધ્યાન આપીશ : જસ્ટિસ સૂર્યકાંત
જસ્ટિસ સૂર્યકાંત સોમવારે દેશના 53માં મુખ્ય ન્યાયાધીશ બનશે, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશમાંથી બાદમાં 2019માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનારા જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના સૌથી વરીષ્ઠ ન્યાયાધીશ હોવાથી તેમને આ મુખ્ય ન્યાયાધીશનું પદ સોંપવામાં આવ્યું છે. સોમવારે તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે જેમાં ભૂતાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા અને બ્રાઝીલના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયાધીશો અને તેમના પરિવારજનો સામેલ થશે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટની બેંચો દ્વારા જે પણ મહત્વના ચુકાદા આપવામાં આવ્યા હતા તેમાં જસ્ટિસ સૂર્યકાંત પણ સામેલ રહ્યા, આ ચુકાદાઓમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરવી, પેગાસસ જાસૂસી વિવાદ, બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. જસ્ટિસ સૂર્યકાંત ૧૫ મહિના સુધી દેશના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળી શકશે અને ૯ ફેબુ્રઆરી ૨૦૨૭ના રોજ તેઓ નિવૃત્ત થશે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન કોર્ટોમાં જે પેન્ડિંગ કેસો છે તેના નિકાલને લઇને વિશેષ સ્ટ્રેટેજી અપનાવવા પર ધ્યાન આપીશ.
સરકારી પદ નહીં સ્વીકારું, સમાજ સેવા કરીશ : જસ્ટિસ ગવઇ
મુખ્ય ન્યાયાધીશના પદેથી જસ્ટિસ બી. આર. ગવઇ રવિવારે નિવૃત્ત થઇ ગયા હતા. રવિવારે સીજેઆઇ તરીકેના અંતિમ દિવસે તેમણે કહ્યું હતું કે હું હવે આગામી સયમ સોશિયલ વર્કમાં વિતાવવા માગુ છું. દેશના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગવઇએ કહ્યું હતું કે જે હજુ પણ પાછળ રહી ગયેલ છે તેના માટે અનામત જરૂરી છે. કોલેજિયમ સિસ્ટમને ન્યાય વ્યવસ્થાની સ્વતંત્રતા માટે જરૂરી ગણાવતા જસ્ટિસ ગવઇએ કહ્યું હતું કે સરકાર તરફથી કોઇ પણ પ્રકારનું દબાણ મને જોવા નથી મળ્યું. તેમણે સાથે કહ્યું હતું કે હું નિવૃત્ત થયા બાદ કોઇ જ સરકારી પદ નહીં સ્વીકારું, અને મહારાષ્ટ્રમાં જે એનજીઓ સક્રિય છે તેને સમય આપી સમાજ કાર્ય કરીશ.


