જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રૅકોર્ડ બ્રેક વરસાદ, 27 ઑગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી
Jammu And Kashmir Rain Updates: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં 190.4 મિ.મી. વરસાદ સાથે ઑગસ્ટ મહિનાનો છેલ્લા 100 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ 5 ઑગસ્ટ, 1926માં સૌથી વધુ 228.6 મિ.મી. વરસાદ પડ્યો હતો. જ્યારે 11 ઑગસ્ટ, 2022માં 189.6 મિ.મી. વરસાદ વરસ્યો હતો.
જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. નદી-નાળા છલકાઈ જતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાનીપુર, રૂપ નગર, તાલાબ ટિલ્લુ, જ્વેલ ચોક, ન્યુ પ્લોટ તથા સંજય નગર સહિત અનેક વિસ્તારોમાં પૂરના કારણે ઘરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ડઝનથી વધુ વાહનો પૂરમાં તણાઈ ગયા છે.
27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 27 ઑગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં આભ ફાટવાની, પૂર અને ભૂસ્ખલન થવાની પણ આગાહી કરી છે. સ્થાનિક વહીવટી તંત્રે જળાશયો તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા એડવાઇઝરી જાહેર કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવા નિર્દેશ આપ્યો છે. રાતભર ભારે વરસાદના કારણે જમ્મુના પઠાણકોટમાં નેશનલ હાઇવે પર સ્થિત એક બ્રિજને નુકસાન થયું છે.
પૂરમાં વિદ્યાર્થીઓ ફસાયા
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, જમ્મુમાં સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ટેગ્રેટિવ મેડિસિન (IIIM)ના ઓછામાં ઓછા 45 વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા હતા. હોસ્ટેલ કેમ્પસનું ગ્રાઉન્ડ ફ્લોર પૂરના કારણે પાણીમાં ડૂબી ગયું હતું. આ વિદ્યાર્થીઓને પોલીસ અને એસડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આશરે સાત ફૂટથી વધુ પાણી ભરાયું હતું. એસડીઆરએફ અને પોલીસે નાવડીઓની મદદથી લગભગ પાંચ કલાક સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભારે વરસાદના કારણે તમામ સંબંધિત વિભાગોને હાઇ ઍલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.
તમામ વિભાગ ઍલર્ટ મોડ પર
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે તમામ સંબંધિત વિભાગોને હાઇ ઍલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે. અબ્દુલ્લાહે 27 ઑગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદ, આભ ફાટવાની, અચાનક પૂર અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખ્લનની સંભાવના સહિતની હવામાન વિભાગની આગાહી પર ધ્યાન આપવાં તેમજ લોકોને સતર્ક રહેવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે, જમ્મુ-કાશ્મીરમાં નદીઓ જોખમી સ્તરે વહી રહી છે.
અનેક રસ્તાઓ બંધ
પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ છે. 250 કીમી લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે તેમજ 434 કિમી લાંબો શ્રીનગર-લેહ નેશનલ હાઇવે પરિવહન માટે ખુલ્લો છે. જમ્મુમાં પૂંછ તથા રાજોરીને દક્ષિણ કાશ્મીરના શોપિયાનને જોડતો મુઘલ રોડ અને જમ્મુમાં કિશ્તવાડ તથા ડોડા જિલ્લાને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ સાથે જોડતો સિંથન રોડ ભૂસ્ખલનના કારણે બંધ છે. કઠુઆમાં ભારે વરસાદના કારણે સહાર ખાદ નાળામાં પાણી ભરાઈ ગયું છે. જેથી જમ્મુ-પઠાણકોટ હાઇવે પર આવેલો એક બ્રિજ તૂટી ગયો છે.