જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા, હજુ એન્કાઉન્ટર યથાવત્
2 Terrorists Killed in Kishtwar J&K: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. સુરક્ષા દળોએ કિશ્તવાડના સિંહપોરા, ચટરૂ વિસ્તારમાં અનેક આતંકવાદીઓને ઘેર્યા હતા. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન હાલ ચાલુ છે.
કિશ્તવાડ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. હાઈ એલર્ટ ઓપરેશનમાં આજે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. કિશ્તવાડના ચટરૂ હેઠળ આવેલા સિંહપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. અગાઉ 16 મેના રોજ થયેલી અથડામણમાં કેલાર, શોપિયાં અને ત્રાલમાં બે જુદા-જુદા અભિયાનો હેઠળ છ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.
આતંકવાદીઓની સંપત્તિ જપ્ત
જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે 20 મેના રોજ પાકિસ્તાન સ્થિત ચાર આતંકવાદી હેન્ડલર્સની સંપત્તિઓ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઉત્તર-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર અને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં થઈ હતી.સોપોરમાં ત્રણ સંપત્તિઓ અને અવંતીપોરામાં એક સંપત્તિ જપ્ત થઈ હતી. સોપોરમાં અર્શિદ અહમદ ટેલી, ફિરદોસ અહમદ ડાર ઉર્ફ ઉમર ડાર અને નજીર અહમદ ડાર ઉર્ફ શબીર ઈલાહી નામના આતંકવાદીની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.