Get The App

યાસિન મલિક અને બિટ્ટા કરાટે સામેના કેસ રી-ઓપન કરાશે, જમ્મુ કાશ્મીર પોલીસ વડાએ આપ્યા સંકેત

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
યાસિન મલિક અને બિટ્ટા કરાટે સામેના કેસ રી-ઓપન કરાશે, જમ્મુ કાશ્મીર પોલીસ વડાએ આપ્યા સંકેત 1 - image

જમ્મુ કાશ્મીર,તા.23.માર્ચ.2022,બુધવાર

જમ્મુ કાશ્મીરમાં સંખ્યાબંધ હત્યાઓના આરોપી યાસીન મલિક અને બિટ્ટા કરાટે ફરી વખત ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના કારણે ચર્ચામાં આવી ગયા છે.

હવે તેમની સામેના હત્યાના કેસ ફરી ખોલવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રકારના સંકેત જમ્મુ કાશ્મીર પોલીસના વડા દિલબાગ સિંહે આપ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, અમે આતંકીઓ સામે જે પણ કેસ થયેલા છે તેની તપાસ કરીશું. કોઈ પણ આતંકીને છોડવામાં નહીં આવે.

તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ બાદ આ બંને આતંકીઓ ચર્ચામાં છે. દિલબાગ સિંહે કહ્યુ હતુ કે, કોઈ પણ આતંકીને છોડવામાં નહીં આવે.તમામ આતંકી કેસની તપાસ પોલીસ કરશે.

બિટ્ટા કરાટે એક ભાગલાવાદી નેતા છે અને એક ઈન્ટરવ્યૂમાં તેણે કબલ્યુ હતુ કે, મેં 20 જેટલા કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. બિટ્ટાની ધરપકડ કરાઈ ત્યારે તેના પર આતંકવાદ સબંધિત 19 કેસ થયેલા હતા. 2008માં તેને અમરનાથ યાત્રાના વિવાદ વખતે પણ પકડવામાં આવ્યો હતો. તેણે 16 વર્ષ જેલમાં પસાર કર્યા છે. 2006માં ટાડા કોર્ટે તેને જામીન પર છોડી દીધો હતો. બિટ્ટાના સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટે એક તરફી યુધ્ધ વિરામ જાહેર કરીને એક અહિંસક આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ યાસિન મલિક પણ જેકેએલએફ સાથે જ જોડાયેલો છે. તે હાલમાં જેલમાં છે અને તેના પર ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓ પર આતંકી હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં સ્કવોડ્રન લીડર રવિ ખન્ના સહિત ચાર કર્મચારીઓના મોત થયા હતા. 1990માં કાશ્મીરી પંડિતોની હિજરતમાં પણ તેની મોટી ભૂમિકા રહી હતી.

Tags :