Get The App

જયપુરમાં શીખ સમાજના કાર્યક્રમ પર થાર લઈને ફરી વળ્યો યુવાન, લોકોએ ગુસ્સામાં તોડફોડ મચાવી

Updated: Jan 3rd, 2025

GS TEAM

Google News
Google News
જયપુરમાં શીખ સમાજના કાર્યક્રમ પર થાર લઈને ફરી વળ્યો યુવાન, લોકોએ ગુસ્સામાં તોડફોડ મચાવી 1 - image

Jaipur Accident: રાજસ્થાનમાં જયપુરના આદર્શ નગર વિસ્તારમાં ગુરુવારે (બીજી જાન્યુઆરી) રાત્રે લગભગ 8.30 વાગ્યે એક થાર તેજ ગતિએ શીખ સમુદાયની કીર્તન સભામાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ અને એક બાળકને ઈજા થઈ હતી. આ ઘટના બાદ સભામાં હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા ટોળાએ થાર જીપમાં તોડફોડ કરી હતી.

શીખ સમુદાયના કીર્તનમાં 300 લોકો સામેલ થયા હતા

જયપુરના ટ્રાન્સપોર્ટ નગર ગુરુદ્વારાથી રાજપાર્ક ગુરુદ્વારા સુધી નગર કીર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 300 શીખ સમુદાયના લોકો સામેલ થયા હતા, ત્યારે પંચવટી સર્કલ પાસે એક ઝડપી થાર સભામાં ઘૂસી ગઈ હતી, જેના કારણે એક વૃદ્ધ અને એક બાળક ઈજાગ્રસ્ત થયા હતા. હાલ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Explainer: ઈસરોએ લૉન્ચ કર્યું તે ‘સ્પેડેક્સ’ શું છે, અંતરિક્ષ ક્ષેત્રે આ મિશન ભારતની મોટી છલાંગ ગણાય છે


પોલીસકર્મીનો સગીર પુત્ર થાર ચલાવતો હતો

ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ થારમાં તોડફોડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો વાહનની ઉપર ચડીને લાકડીઓ વડે તોડફોડ કરી રહ્યા છે. કેટલાક લોકો વાહનોના ગેટ તોડી રહ્યા છે તો કેટલાક લાકડીઓ વડે શરીર પર માર મારી રહ્યા છે. આ દરમિયાન લોકો એવું પણ કહી રહ્યા છે કે થારમાં નંબર પ્લેટ પણ નથી.  

પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને લોકોને શાંત પાડ્યા હતા. પોલીસે થાર કબજે કરી સગીર ચાલકને કસ્ટડીમાં લીધો છે. આ ઘટના સમયે થારમાં ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ત્રણ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સગીર ચાલક પોલીસકર્મીનો પુત્ર છે. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા શીખ સમુદાયના લોકોએ કડક કાર્યવાહીની માંગ સાથે આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન પણ કર્યું હતું.

જયપુરમાં શીખ સમાજના કાર્યક્રમ પર થાર લઈને ફરી વળ્યો યુવાન, લોકોએ ગુસ્સામાં તોડફોડ મચાવી 2 - image