India

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

By GS TEAM
15 Feb 20262 mins read
TukuTouch Logo
આ ઘટના રવિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે બની હતી. મહિલા મુસાફર ફ્લાઈટમાંથી ઉતરીને ટર્મિનલ-2 ના અરાઈવલ એરિયાથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન ગેટની બહાર હાજર એક કૂતરાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

 AI Image



Jaipur Airport : જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દિલ્હીથી જયપુર પહોંચેલી એક મહિલા મુસાફર પર અચાનક કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ઘટના બાદ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. સિક્યુરિટી તથા અન્ય મુસાફરોએ મહિલાને કુતરાની પકડમાંથી છોડાવી હતી અને તાત્કાલિક ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

એરપોર્ટની સિક્યુરિટી સામે સવાલ

હકીકતમાં, આ ઘટના રવિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે બની હતી. મહિલા મુસાફર ફ્લાઈટમાંથી ઉતરીને ટર્મિનલ-2 ના અરાઈવલ એરિયાથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન ગેટની બહાર હાજર એક કૂતરાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મહિલાના પગમાં ઊંડો ઘા થયો અને તે પીડાથી બૂમો પાડવા લાગી હતી. 

ઘટનાસ્થળે અફરાતફરી

ઘટના જોઈને ત્યાં હાજર અન્ય મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાની બુમાબુમ સાંભળી સિક્યુરિટી તથા કેટલાક મુસાફરો પણ મહિલા તરફ દોડ્યાં હતા. જો કે ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે, કોઈને પ્રતિક્રિયા આપવાની તક મળી નહીં. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો તરત જ તેની મદદે આવ્યા અને તેને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા. તેનો ઘા સાફ કરીને તત્કાલ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

એરપોર્ટ પ્રશાસનને જાણ કર્યા બાદ ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ મહિલાની પ્રાથમિક સારવાર કરી હતી. સારવાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટના બાદ એરપોર્ટ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. સમગ્ર મામલે તપાસ આદરી છે. 

કૂતરાનું રસીકરણ પહેલેથી થયેલું હતું

ઘટના બાદ એવી માહિતી સામે આવી છે કે, જે કૂતરાએ મહિલા પર હુમલો કર્યો હતો તેનું રસીકરણ પહેલેથી જ થઈ ચૂક્યું હતું. આથી સ્વાસ્થ્ય માટે કોઈ મોટું જોખમ હોવાની શક્યતા ઓછી છે. જોકે, આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. મુસાફરોએ આવી ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાલ મહિલાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ઘટના બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.