Get The App

'મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે', સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની દલીલ

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
'મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે', સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની દલીલ 1 - image

Sabarimala Row: સબરીમાલા કેસ સાથે જોડાયેલા વ્યાપક બંધારણીય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન જૈન સમુદાય દ્વારા એક અત્યંત મહત્ત્વનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ગીતાર્થ ગંગા વતી રજૂ થયેલી આ દલીલોમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે મંદિરો અને ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કે માલિકી કોઈ બિનસાંપ્રદાયિક રાજ્ય પાસે હોઈ શકે નહીં.

ધાર્મિક સંસ્થાઓ ધર્મનું અભિન્ન અંગ છે: જૈન સમુદાય

ન્યાયાલયમાં વરિષ્ઠ એડવોકેટ કૃષ્ણન વેણુગોપાલ દ્વારા જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ દલીલો રજૂ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું છે કે ધાર્મિક સંસ્થાઓ માત્ર ઈંટ-પથ્થરના માળખા નથી, પરંતુ તે ધર્મનો આંતરિક અને સ્વાયત્ત ભાગ છે. મંદિરો, દેરાસરો અને મઠો એ આસ્થાના જીવંત કેન્દ્રો છે, જેમના સંચાલન અને ધાર્મિક વિધિઓ તે ધર્મના સિદ્ધાંતો અને પરંપરાઓ સાથે અતૂટ રીતે જોડાયેલા હોય છે.

પવિત્ર સ્થળોની બે શ્રેણીઓ

જૈન સમુદાયે પવિત્ર સ્થળોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચીને સમજાવ્યા છે. પ્રથમ ‘પ્રાકૃતિક પવિત્ર સ્થળો’ જેમાં પર્વતો, નદીઓ અને જંગલોનો સમાવેશ થાય છે જે કોઈ માનવીય નિર્માણ વિના પણ પવિત્ર માનવામાં આવે છે. બીજી શ્રેણી ‘માનવ નિર્મિત સંસ્થાઓ’ની છે જેમાં મંદિરો અને દેરાસરોનો સમાવેશ થાય છે. આ બંને પ્રકારના સ્થળોની પવિત્રતા અને તેનું ચરિત્ર ધાર્મિક છે, નહીં કે બિનસાંપ્રદાયિક. તેથી તેને જાહેર સંપત્તિ તરીકે ગણી શકાય નહીં.

આ પણ વાંચો: Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBIની મોટી કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર?

મંદિર માત્ર સંપત્તિ નથી, આસ્થાનું જીવંત કેન્દ્ર

કોર્ટ સમક્ષ એ તર્ક રખાયો કે મંદિરોને માત્ર ભૌતિક સંપત્તિ કે જાહેર સુવિધા તરીકે ન જોવા જોઈએ, તે 'લિવિંગ ઈન્ટીટ્યૂશન ઓફ ફેથ' છે. તેનું પ્રબંધન ધાર્મિક સિદ્ધાંતો અને પરંપરાઓના અનુસાર જ હોવું જોઈએ.

રાજ્યના નિયંત્રણની મર્યાદાઓ વિરૂદ્ધ

દલીલોમાં એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે રાજ્ય મંદિરોનું સંચાલન પોતાના હસ્તક લે છે, ત્યારે તે ધાર્મિક સત્તાનું સ્થાન લે છે. આ પ્રકારનો હસ્તક્ષેપ ધર્મની સ્વાયત્તતા અને તેની આંતરિક શાસન પ્રણાલીને ખોરવે છે. ભારતીય બંધારણ રાજ્યને મર્યાદિત હસ્તક્ષેપની છૂટ આપે છે, પરંતુ તે રાજ્યને ધાર્મિક સંસ્થાઓના મુખ્ય વહીવટ કે માલિકીની સત્તા આપતું નથી. રાજ્યની ભૂમિકા રક્ષણાત્મક હોવી જોઈએ, નહીં કે સુપરવાઈઝરી.

સુપ્રીમ કોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન

હાલમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ આ મામલે ગહન સુનાવણી કરી રહી છે. કોર્ટે હવે એ નક્કી કરવાનું છે કે શું કોઈ સેક્યુલર સ્ટેટ ધાર્મિક સંસ્થાઓ પર માલિકી હક્ક કરી શકે કે કેમ, અથવા આ સત્તા માત્ર સંબંધિત ધર્મના અનુયાયીઓ અને ધાર્મિક સત્તા પાસે જ રહેવી જોઈએ. આ કેસનો ચુકાદો ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય અને બંધારણીય સીમાઓ નક્કી કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’