India

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો 'ક્રૂરતા' કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
પતિ-પત્નીના સંબંધોમાં નાની-નાની બાબતો જ્યારે કોર્ટ સુધી પહોંચે છે ત્યારે ઘણીવાર કાયદાનો દુરુપયોગ થતો હોવાનું જોવા મળે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો પતિ તેની પત્નીને ઘરના ખર્ચનો હિસાબ રાખવા માટે કહે, તો તેને 'ક્રૂરતા' માની શકાય નહીં. આ આધારે પતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો 'ક્રૂરતા' કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

Supreme Court on Household Expense: પતિ-પત્નીના સંબંધોમાં નાની-નાની બાબતો જ્યારે કોર્ટ સુધી પહોંચે છે ત્યારે ઘણીવાર કાયદાનો દુરુપયોગ થતો હોવાનું જોવા મળે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો પતિ તેની પત્નીને ઘરના ખર્ચનો હિસાબ રાખવા માટે કહે, તો તેને 'ક્રૂરતા' માની શકાય નહીં. આ આધારે પતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.

શું હતો સમગ્ર મામલો?

આ કેસમાં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે FIR નોંધાવી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે પતિ તેને ઘરના દરેક નાના-મોટા ખર્ચની વિગત રાખવા અને તેની એક્સેલ શીટ બનાવવા માટે મજબૂર કરતો હતો. પત્નીનો અન્ય એક આક્ષેપ એ પણ હતો કે પતિ તેને પૂછ્યા વગર જ પોતાના માતા-પિતાને પૈસા મોકલતો હતો. આ ઉપરાંત, ગર્ભાવસ્થા અને ડિલિવરી બાદ વજન વધવા બાબતે પતિ તેને સતત ટોણા મારતો હતો અને તે સમયગાળા દરમિયાન તેની પૂરતી કાળજી પણ રાખતો ન હતો. આ સંવેદનશીલ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કરી હતી, જેમાં કોર્ટે આ ઘટનાઓને વૈવાહિક જીવનના સામાન્ય ઘર્ષણ ગણાવી હતી.

કોર્ટે શું અવલોકન કર્યું?

સુપ્રીમ કોર્ટે પતિ સામેની FIR રદ કરતાં કેટલીક અત્યંત મહત્ત્વની સ્પષ્ટતાઓ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, જો પતિ પત્ની પાસે એક્સેલ શીટમાં ખર્ચનો હિસાબ માંગે તો તેને ક્રૂરતા માની શકાય નહીં, કારણ કે આવી બાબતો વૈવાહિક જીવનના રોજબરોજના સામાન્ય ઘર્ષણનો ભાગ છે અને તેને ગુનાની શ્રેણીમાં ન મૂકી શકાય. વધુમાં, કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુત્ર દ્વારા પોતાના માતા-પિતાને આર્થિક મદદ કરવી એ કોઈ પણ રીતે ગુનાહિત કૃત્ય નથી. પત્નીના વજન બાબતે ટોણા મારવા કે કાળજીના અભાવ જેવા આક્ષેપો પર કોર્ટે સ્વીકાર્યું કે આ બાબતો પતિના ચરિત્ર પર સવાલ જરૂર ઉઠાવે છે, પરંતુ આટલી વાત માટે તેને લાંબી કાયદાકીય પ્રક્રિયા કે જેલની સજા જેવી મુસીબતમાં ધકેલી શકાય નહીં.

આ પણ વાંચો: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી

કાયદાના દુરુપયોગ સામે ચેતવણી

સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, વૈવાહિક વિવાદોમાં અદાલતોએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ફરિયાદો ઘણીવાર અસ્પષ્ટ અને સામાન્ય હોય છે, જેનો ઉપયોગ અંગત બદલો લેવા માટે થતો હોય છે. કોર્ટે કહ્યું કે આવી નાની બાબતોને ક્રૂરતાની શ્રેણીમાં મૂકવાથી કાયદાની વિશ્વસનીયતા જોખમાય છે.

કોર્ટે અંતમાં ઉમેર્યું કે પતિનું નાણાકીય બાબતોમાં પ્રભુત્વ હોવું એ ભારતીય સમાજનું એક પાસું હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી કોઈ શારીરિક કે માનસિક નુકસાન સાબિત ન થાય ત્યાં સુધી તેને ક્રૂરતા ગણી શકાય નહીં.