India

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

By GS TEAM
19 Nov 20254 mins read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશમાં એક અધિકારી વિમલ નેગીના મૃત્યુના મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી મૌખિક ટિપ્પણી કરી હતી, અને કહ્યું હતું કે તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો છે, કઇ જ સ્વતંત્ર નથી બચ્યું. આ કેસમાં અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે તપાસ ના કરાતા સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો હતો અને જવાબદાર અધિકારીને સેવામાં રહેવાને લાયક ના હોય તેવા બોગસ અધિકારી ઠેરવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

- હિમાચલ પાવર કો.ના અધિકારી વિમલ નેગી મૃત્યુ કેસમાં યોગ્ય તપાસ ના થતા સુપ્રીમ નારાજ

- તપાસ કરનાર સીબીઆઇ અધિકારી સેવામાં રહેવાને લાયક જ નથી, પુરાવા તરીકે રજુ કરવા એક ફકરો પણ નથી : સુપ્રીમ

- કલાકોની પૂછપરછમાં અંતે આરોપી સહકાર નથી આપી રહ્યા તેવા ઉલ્લેખ સિવાય સીબીઆઇ પાસે કંઇ જ નથી

Supreme Court News : હિમાચલ પ્રદેશમાં એક અધિકારી વિમલ નેગીના મૃત્યુના મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી મૌખિક ટિપ્પણી કરી હતી, અને કહ્યું હતું કે તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો છે, કઇ જ સ્વતંત્ર નથી બચ્યું. આ કેસમાં અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે તપાસ ના કરાતા સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો હતો અને જવાબદાર અધિકારીને સેવામાં રહેવાને લાયક ના હોય તેવા બોગસ અધિકારી ઠેરવ્યા હતા.

હિમાચલ પ્રદેશના પાવર કોર્પોરેશન લિ. (એચપીપીસીએલ)ના અધિકારી વિમલ નેગીના મોતની તપાસ કરી રહેલી સીબીઆઇના અધિકારીને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અધિકારી સેવામાં રહેવાને લાયક જ નથી. આ મામલામાં આરોપી દેશરાજ પણ એચપીપીસીએલ સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામની મુદ્દે અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. સીબીઆઇએ આરોપીની કલાકો સુધી પૂછપરછ કરી પરંતુ સહકાર નથી આપી રહ્યા તેવી એક જ લાઇનનો ઉલ્લેખ કર્યો હતો. જેને કારણે સુપ્રીમે અધિકારીનો ઉધડો લીધો હતો.  

સુપ્રીમની બેંચે મૌખીક રીતે પૂછ્યું હતું કે આ મામલામાં તપાસકર્તા કોણ છે? સવાલ પૂછનાર કોણ છે? આ અત્યંત બાલિશ છે, જો ખરેખર તપાસકર્તા સીનિયર અધિકારી હશે તો પછી સીબીઆઇ માટે અત્યંત દુ:ખદ બાબત છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ પાવર કોર્પોરેશન લિ.ના અધિકારીઓ દ્વારા અત્યાચાર કરાતા આ કંપનીના જ અન્ય એક કર્મચારી વિમલ નેગીએ આત્મહત્યા કરી લીધી હતી તેવો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. સીબીઆઇ અધિકારીએ આ મામલામાં અત્યાર સુધી કરેલી તપાસમાં કોઇ ખાસ હકીકત સામે ના આવતા તેમજ કોઇ જ પુરાવા રજુ ના થતા સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો હતો. 

સીબીઆઇ અધિકારીનો ઉધડો લેતા સુપ્રીમની બેંચે કહ્યું હતું કે શું તમે રાજકારણ રમી રહ્યા છો? તમને સર્વિસમાંથી કાઢી મુકવા જોઇએ, તમારી પાસે માત્ર મૌખિક નિવેદનો જ છે, એક પેરેગ્રાફ પુરતા પણ પુરાવા નથી, તમને ખુલ્લો પડકાર છે અમને તમારી તપાસમાં સામે આવેલા પુરાવા બતાવો, માત્ર મૌખિક નિવેદનોના આધારે તમે કોઇને સજા અપાવવા માગો છો? સુપ્રીમના ન્યાયાધીશ અહસાનુદ્દીન અમનુલ્લાહ અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ દ્વારા આ મામલાની સુનાવણી કરાઇ હતી, આ દરમિયાન બેંચે મૌખિક અવલોકન કરતા કહ્યું હતું કે તમામ સંસ્થાઓ ધ્વસ્ત કરી દેવાઇ છે, કઇ જ સ્વતંત્ર નથી રહ્યું. આ મામલામાં હાલ સુપ્રીમ કોર્ટે અરજદારના આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને તપાસમાં સહકાર આપવા કહ્યું હતું.  

અગાઉ પણ સીબીઆઇને ચેતવી છે : સીજેઆઇ 

રાજકીય લડાઇમાં સીબીઆઇનો ઉપયોગ કેમ : સુપ્રીમનો સવાલ

- ઝારખંડ વિધાનસભા ભરતીમાં ગેરરીતિ મુદ્દે પ્રાથમિક તપાસ સોંપવાની સીબીઆઇની માગ સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઇને સવાલ પૂછ્યો હતો કે રાજકીય લડાઇ લડવામાં સીબીઆઇનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે? અને રાજકારણ માટે સીબીઆઇની મશીનરીનો ઉપયોગ કેમ? ઝારખંડમાં એક મામલાની તપાસ સોંપવાની માગ કરતી સીબીઆઇની અરજીને સુપ્રીમે ફગાવી હતી તે સમયે આ સવાલ કર્યા હતા.

સીબીઆઇએ ઝારખંડ વિધાનસભામાં નિમણુંકમાં થયેલી કથિત ગેરરીતિ મામલે પ્રાથમિક તપાસ કરવાની મંજૂરી માગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇની બેંચે સીબીઆઇની અરજીને ફગાવતા કહ્યું હતું કે રાજકીય લડાઇ માટે સીબીઆઇ પોતાની મશીનરીનો ઉપયોગ કેમ કરે છે? અમે અગાઉ પણ આ મુદ્દે એજન્સીને ચેતવણી આપી હતી. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે, જ્યારે અગાઉ વિપક્ષ શાસિત રાજ્ય જેમ કે તમિલનાડુ, કર્ણાટકના મામલાઓને લઇને પણ સુપ્રીમ કોર્ટે એજન્સીઓને રાજકીય હાથા ના બનવાની સલાહ આપી હતી. 

તાજેતરના આ મામલામાં ઝારખંડ વિધાનસભા તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે જ્યારે પણ કોઇ મામલો ઉછળે છે ત્યારે સીબીઆઇ તપાસ માટે કોર્ટ સમક્ષ આવી જાય છે. સીબીઆઇ તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ કહ્યું હતું કે આ મામલામાં આવુ નથી થયું, જવાબમાં સિબ્બલે કહ્યું હતું કે માત્ર આ મામલો જ નહીં પશ્ચિમ બંગાળમાં પણ કોઇ પણ મામલો ઉછળે કે તરત જ સીબીઆઇ તપાસ માટે આવી જાય છે. જવાબમાં સીબીઆઇએ કહ્યું હતું કે કારણ સ્પષ્ટ છે જ્યારે કોઇ ગુનો થાય ત્યારે અમે આવીએ છીએ. આ પહેલા ઝારખંડ હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોંપવા આદેશ આપ્યો હતો જેના પર બાદમાં સુપ્રીમે રોક લગાવી દીધી હતી. સીધી સીબીઆઇને જ પ્રાથમિક તપાસ સોંપવા સામે સવાલો ઉઠયા હતા.