India

આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ: દેશ છોડવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, શું છે કારણો

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
બહેતર શિક્ષણ, ઉચ્ચ જીવનધોરણ અને આર્થિક સુરક્ષાની શોધમાં આજે લાખો લોકો પોતાનું વતન છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ નિમિત્તે જાહેર થયેલા આંકડાઓ દર્શાવે છે કે, વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ મોકલવામાં ભારત અત્યારે પ્રથમ ક્રમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ: દેશ છોડવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, શું છે કારણો

International Migrants Day : બહેતર શિક્ષણ, ઉચ્ચ જીવનધોરણ અને આર્થિક સુરક્ષાની શોધમાં આજે લાખો લોકો પોતાનું વતન છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ નિમિત્તે જાહેર થયેલા આંકડાઓ દર્શાવે છે કે, વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ મોકલવામાં ભારત અત્યારે પ્રથમ ક્રમે છે.

પ્રવાસન ક્ષેત્રે ભારતની સ્થિતિ

સંયુક્ત રાષ્ટ્રના 'આંતરરાષ્ટ્રીય પ્રવાસન અહેવાલ 2024' મુજબ, ભારત દુનિયાનો સૌથી મોટો પ્રવાસી મોકલનારો દેશ બની ગયો છે.

કુલ ભારતીય પ્રવાસીઓ: અંદાજે 1 કરોડ 81 લાખ ભારતીયો હાલમાં વિદેશમાં વસે છે.

અન્ય દેશો સાથે તુલના: ભારત પછી બીજા ક્રમે મેક્સિકો (1.12 કરોડ), ત્રીજા ક્રમે રશિયા (1.08 કરોડ) અને ચોથા ક્રમે ચીન (1.05 કરોડ) આવે છે.

આ ઉપરાંત બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, યુક્રેન અને પાકિસ્તાન પણ એવા દેશો છે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરે છે.

ભારતીય નાગરિકતા ત્યાગવાનો વધતો ટ્રેન્ડ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં દેશની નાગરિકતા છોડીને વિદેશી નાગરિક બનવાનો ક્રેઝ વધ્યો છે.

વાર્ષિક સરેરાશ: દર વર્ષે અંદાજે 2 લાખ ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે.

પાંચ વર્ષનો આંકડો: છેલ્લા 5 વર્ષમાં અંદાજે 9 લાખ લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે.

રેકોર્ડ વર્ષ: 2022માં સૌથી વધુ 2.25 લાખ લોકોએ અને 2023 માં 2.16 લાખ લોકોએ દેશ છોડ્યો હતો. 2011 થી 2024 દરમિયાન કુલ 20 લાખથી વધુ ભારતીયો કાયમ માટે વિદેશમાં વસી ચૂક્યા છે.

સ્થળાંતર પાછળના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે ભારતીયો નીચેના કારણોસર વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે:

શિક્ષણ અને રિસર્ચ: ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે વિદેશી યુનિવર્સિટીઓ પ્રત્યેનું આકર્ષણ.

રોજગાર અને કમાણી: વિદેશમાં ઉંચા પગારવાળી નોકરીઓ અને મજબૂત ચલણને કારણે વધુ બચતની તક.

જીવનધોરણ: બહેતર સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષિત વાતાવરણ અને જીવનની સારી ગુણવત્તા.

વૈશ્વિક માંગ: ભારતીય આઈટી પ્રોફેશનલ્સ, ડોક્ટરો અને કુશળ મજૂરોની દુનિયાભરમાં ભારે માંગ છે.

જોકે આ સ્થળાંતરથી ભારતને 'રેમિટન્સ' (વિદેશથી આવતા નાણાં) ના રૂપમાં મોટો આર્થિક ફાયદો થાય છે, પરંતુ દેશની બૌદ્ધિક સંપદા (Brain Drain) બહાર જવી એ ચિંતાનો વિષય પણ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ એ યાદ અપાવે છે કે સ્થળાંતર કરનારા લોકો માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ જે તે દેશના અર્થતંત્રના વિકાસમાં પણ કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવે છે.