VIDEO: નૌકાદળમાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ, બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો શિકાર, જાણો ખાસિયત
Indian Navy Warship INS Tamal : રશિયાના કલિનિનગ્રાહ શહેરમાં બનાવાયેલ નવું યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ ભારતીય નૌકાદળમાં સામેલ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તમાલ યુદ્ધ જહાજ અત્યાધુનીક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલથી લેસ છે. આ મિસાઈલમાં દુશ્મનના યુદ્ધ જહાજોને ટાર્ગેટ કરવાની તેમજ જમીન પરથી પણ હુમલો કરવાની ક્ષમતા છે.
INS તમાલની ખાસિયત
આઈએનએસ તમાલમાં અત્યાધુનિક ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે આકાશ, પાણી અને સપાટી પર એક સાથે હુમલો કરવામાં સક્ષમ છે. આ જહાજ બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઈલથી સજ્જ છે તેમજ એડવાન્સ સેન્સર તેમજ હથિયાર સિસ્ટમો સામેલ છે. એટલે કે આઈએનએસ તમાલથી સુપરસોનિક મિસાઈલ ઝીંકી શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જહાજ પર મલ્ટી-રોલ હેલિકોપ્ટર પણ સરળતાથી ઉતરી શકે છે. ભારત હવે પોતાના યુદ્ધજહાજોને સ્વદેશી રીતે ડિઝાઈન અને નિર્માણ કરવા પર ધ્યાન આપી રહ્યું હોવાથી, INS તમાલ ભારતનું અંતિમ આયાત કરેલ યુદ્ધ જહાજ માનવામાં આવે છે. વર્ષ 2016માં ભારત-રશિયા વચ્ચે ‘ચાર સ્ટીલ્થ ફ્રિગેટ નિર્માણ’ પર સમજૂતી કરવામાં આવી હતી. કરાર મુજબ રશિયામાં બે અને ભારતમાં બે યુદ્ધ જહાજો બનાવાયા છે. ચાર યુદ્ધ જહાજોમાંથી આઈએનએસ તમાલ બીજું યુદ્ધ જહાજ છે, જે રશિયામાં બનેલું છે.
યુદ્ધજહાજ તમાલમાં કયાં કયાં હથિયારો છે?
- હુમલો કરવા માટે બ્રહ્મોસ મિસાઈલ
- હવાઈ હુમલાથી બચી શકાય તે માટે મિસાઈલ અને અત્યાધુનિક સિસ્ટમ
- 100mmની એડવાન્સ બંદૂક
- યુદ્ધ જહાજો અને સબમરીન પર હુમલો કરવા માટે ભારે વજનના ટારપીડો
- સબમરીન પર હુમલો કરી શકે તેવા રોકેટ
- 30 એમએમના ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ
- મોટા હુમલાને ટાર્ગેટ કરવા માટે 12 બેરલનું રૉકેટ લોન્ચર
- નેટવર્ક આધારીત યુદ્ધ ક્ષમતા અને આધુનિક ઈલેક્ટ્રોનિક યુદ્ધ સૂટ
- એર અર્લી વોર્નિંગ અને મલ્ટી-રોલ હેલિકોપ્ટર રાખવાની જગ્યા
- તેના પર સબમરીન વિરોધી યુદ્ધની વિશેષતાઓ ધરાવતા હેલિકોપ્ટર પણ તહેનાત કરી શકાશે.
INS તમાલમાં લાંબો રૂટ ખેડવાની ક્ષમતા
આઈએનએસ તમાલની ગતિની વાત કરીએ તો તે પ્રતિ કલાકે 55.56 કિલોમીટરની ઝડપી ગતીએ આગળ વધી શકે છે. જો દરિયામાં લાંબો રૂટ ખેડી અભિયાન પાર પાડવાનું થશે તો તમાલનો ઉપયોગ કરી શકાશે. 3900 ટનના તમાલની લંબાઈ 125m છે. તેમાં 26 ટકા ભારતીય સ્પેર પાર્ટ્સનો ઉપયોગ કરાયો છે. તમાલમાં દરિયાની સપાટી પરથી દેખરેખ રાખવા માટે અત્યાધુનિક રડાર પણ છે, જેનાથી દુશ્મન દેશની સબમરીનને સરળતાથી શોધી શકાશે. યુદ્ધજહાજના અનેક પ્રકારના સેન્સર પણ સામેલ છે.
ભારત-રશિયા વચ્ચે કુલ ચાર યુદ્ધ જહાજ બનાવવાની સમજૂતી
ભારત સરકાર સેનાનો કાફલો વધારવાનો સતત પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયાના યાનાતર શિપયાર્ડમાં બનેલું યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ ભારતને આજે સોંપવામાં આવી શકે છે. વર્ષ 2016માં ભારત-રશિયા વચ્ચે કુલ ચાર યુદ્ધ જહાજો બનાવવા માટે સમજૂતી થઈ હતી, તે મુજબ રશિયામાં બે અને ભારતમાં બે એમ કુલ આવા ચાર યુદ્ધ જહાજો બનાવવાનો કરાર કરાયો હતો. આ ચારેય યુદ્ધ જહાજો સેનામાં સામેલ કરાશે. આ યુદ્ધ જહાજથી ભારતીય સેનાની દરિયામાં વધુ તાકાત વધશે.