દેશમાં વધતા તાવ-ઉધરસના કેસો પાછળ 'ઈન્ફ્લુએન્ઝા એ' સબટાઈપ જવાબદાર
- આઈસીએમઆરના નિષ્ણાતોની ચેતવણી
- એઝિથ્રોમાઈસિન અને એમોક્સિકલાવ જેવી એન્ટિબાયોટિકના ઉપયોગને ટાળવાની સલાહ આપી
નવી દિલ્હી : છેલ્લા બે-ત્રણ મહિનાથી ભારતમાં ઘરે-ઘરે ઉધરસ અને તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વધતા કેસનું કારણ એચ-૩-એન-૨ ઈન્ફલુએન્ઝા એ સબટાઈપ હોવાનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નિષ્ણાતોનું માનવું છે.
મેડિકલ નિષ્ણાતોના મતે, છેલ્લા બે-ત્રણ મહિનાથી એચ-૩-એન-૨ને કારણે ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી રહી છે. જે તેના સબટાઈપથી પ્રમાણમાં ઘણી વધુ છે. આ સાથે જ આઈસીએમઆરના વૈજ્ઞાાનિકોએ દર્દીઓ માટે સાચવેતીના પગલા સૂચવ્યા છે. બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ એસો. એ એન્ટિબાયોટિકનો ઉપયોગ ટાળવા જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે, આવા કેસોમાં તાવ ૫ થી ૭ દિવસ સુધી રહે છે. જ્યારે, ઉધરસ મટતા ત્રણ અઠવાડિયાથી વધુનો સમય લાગે છે. તેમનું માનવું છે કે, વાયરલ કેસોમાં ઉછાળાનું બીજું એક કારણ વધતું વાયુ પ્રદુષણ પણ છે. આ કેસો મોટેભાગે ૧૫ વર્ષથી નાના બાળકો તથા ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓમાં જોવા મળી રહ્યા છે.
આ સાથે જ ડોક્ટરોએ એઝિથ્રોમાઈસિન અને એમોક્સિકલાવ જેવી એન્ટિબાયોટિકનો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે. ડોક્ટરોના મતે, વધુ પડતા એન્ટિબાયોટિકના ઉપયોગથી વ્યકિતમાં એન્ટિબાયોટિક રેસિસ્ટેન્સ થવાની શકયતા વધી જાય છે. આ સાથે જ તેમણે એમોક્સિલિન, નોરફ્લોક્સાસિન, ઓપ્રોફ્લોક્સાસિન, લેવોફ્લોક્સાસિન અને ઓફ્લોક્સાસિનનો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે.