Get The App

ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવણી

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવણી 1 - image


Indore Bribery Scandal: ઈન્દોરમાં ચાર માળની બિલ્ડિંગને બોમ્બથી તોડી પાડ્યા બાદ લાંચકાંડનો ખુલાસો થયો છે. નગર નિગમ દ્વારા ચાર દિવસ પહેલાં જ કાર્યવાહી હાથ ધરાયા બાદ બિલ્ડિંગના માલિકે દાવો કર્યો છે કે, બિલ્ડિંગના નિર્માણ માટે રૂ. 5 લાખની લાંચ આપી હતી. ત્યારબાદ વધુ રૂ. 15 લાખની ડિમાન્ડ કરવામાં આવી હતી. જેનો ઈનકાર કરતાં તેમણે વિસ્ફોટક સામગ્રીથી ઘરને ગેરકાયદે ગણાવી તોડી પાડ્યું હતું. મેયરે આ સંપૂર્ણ મામલાની તપાસ કરવા અને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.

ઈન્દોર નગર નિગમે યોજના ક્રમાંક 54, પીયુ-4માં નાલામાંથી 9 મીટરના અંતરે બનાવવામાં આવેલી બિલ્ડિંગને પોકલેનના માધ્યમથી તોડી વિસ્ફોટકથી ઉડાવી દેવામાં આવી હતી. હવે બિલ્ડિંગના માલિક ડો. ઈઝહાર મુંશીએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં હોસ્પિટલ શરૂ કરવા માગતાં હતાં. તેનો નકશો પણ મંજૂર કરાવ્યો હતો. પરંતુ લાંચ આપવાનો ઈનકાર કરતાં ઘર તોડી પાડવામાં આવ્યું હતું.

હોસ્પિટલ શરૂ કરવા માગતા હતાં

સ્વાસ્થ્ય વિભાગમાં મેડિકલ ઓફિસર પદે કાર્યરત ડો. ઈઝહાર મુંશી 31 મે, 2025ના રોજ નિવૃત્ત થયા હતાં. ડો. મુંશીએ જણાવ્યું કે, તેઓ આ બિલ્ડિંગમાં હોસ્પિટલ શરૂ કરવા માગતા હતાં. તેમના પરિવારમાં કુલ 19 ડોક્ટર છે. બિલ્ડિંગ તોડી પાડવામાં મામલે હાઈકોર્ટમાં અપીલ કરીશ. 22 નવેમ્બર, 2020ના રોજ બિલ્ડિંગનો નકશો મંજૂર કરાવ્યો હતો. બિલ્ડિંગ ઓફિસરે તે સમયે રૂ. 5 લાખની લાંચ લીધી હતી. પરંતુ બાદમાં તેમણે 15 લાખની માગણી કરી હતી. કામ શરૂ કર્યા બાદ ત્યાં એક ડ્રેનેજ લાઈન મળી આવતાં તાત્કાલિક ધોરણે અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. અધિકારીએ ડ્રેનેજ લાઈન છોડીને કામ ચાલુ રાખવા કહ્યું હતું. બાદમાં અચાનક અધિકારીઓ આવી પહોંચ્યા અને કહ્યું કે, બિલ્ડિંગનું બાંધકામ નકશાથી વિપરિત થઈ રહ્યું છે. 

આ પણ વાંચોઃ અમરેલીમાં ખાખીને કલંક: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપી ઝડપાયો, પરંતુ વધુ એક કેસનો આરોપી પોલીસકર્મી હજુ ફરાર

એન્જિનિયર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવા આદેશ  

કોર્પોરેશન કમિશનરે ઝોનલ ઓફિસના ક્ષેત્રમાં તૈનાત ભવન અધિકારી અને ભવન નિરિક્ષકને  આ કેસ ટ્રાન્સફર કર્યો હતો. મેયર કાઉન્સિલના સભ્ય અને બિલ્ડિંગ પરમિટ શાખાના ઇન્ચાર્જ રાજેશ ઉદાવતે પ્રદેશના શહેરી વહીવટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે પત્ર લખી કહ્યું હતું કે, ખોટી રીતે આ બિલ્ડિંગનો નકશો મંજૂર કરનારા એન્જિનિયર આસિત ખરેને ઝોનલ કાર્યાલય પર પદ પર હતાં. તેમણે ખોટો નકશો મંજૂર કર્યો હતો. જેથી ખરે અને કન્સલ્ટન્ટ એન્જિનિયર વિરૂદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપો. કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા ચિંટૂ ચોકસેએ આ મામલે ઝોનલ ઓફિસના ભવન અધિકારી અને ભવન નિરિક્ષકને બરતરફ કરી વિભાગીય તપાસ હાથ ધરવાની માગ કરી હતી. એન્જિનિયર્સને પદ પરથી દૂર કરવાની પણ ભલામણ કરી છે. 

મકાન માલિક લેખિતમાં ફરિયાદ આપે

ઈન્દોરના મેયર પૂષ્યમિત્ર ભાર્ગવે જણાવ્યું કે, આ મકાનને જે રીતે તોડી પાડવામાં આવ્યું છે, તેમાં કોઈ સવાલ નથી. પરંતુ જે દોષિત છે, તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે. મેં મકાન માલિકને કહ્યું છે કે, તેઓ લેખિતમાં ફરિયાદ નોંધાવે. તેમની પાસે જે તથ્યો છે, તે આપે. અને તેની તપાસ હાથ ધરવામાં આવશે. જે પરિસ્થિતિમાં મકાન તૂટ્યું છે. જે નિયમોનું ઉલ્લંઘન કરીને મકાન તોડી પાડવામાં આવ્યું છે. તે તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવશે. આઈડીએનો પ્લોટનો જે નકશો મંજૂર કરાવ્યો હતો તે પણ રજૂ કરવા આદેશ આપ્યો છે.

ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવણી 2 - image

Tags :