તૂર્કિયેને ભારતનો વધુ એક ઝટકો, ટર્કિશ એરલાઈન્સ સાથે ભાગીદારી પૂર્ણ કરશે IndiGo
IndiGo to cut ties with Turkish Airlines: તૂર્કિયે દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવા અને ભારત વિરોધી વલણ અપનાવ્યા બાદ ઇન્ડિગોએ ટર્કિશ એરલાઈન્સની સાથે પોતાની ભાગીદારી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ શુક્રવારે માહિતી આપી કે ઈન્ડિગોના ડેમ્પ લીઝ કરાર 31 ઓગસ્ટ 2025 સુધીમાં સમાપ્ત કરી દેવાશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા ત્રણ મહિનાના અલ્ટીમેટમ હેઠળ લેવાયો છે, જેથી મુસાફરોની સેવામાં કોઈ મુશ્કેલી ન આવે.
હાલમાં, ઇન્ડિગો ટર્કિશ એરલાઇન્સ પાસેથી ડમ્પ લીઝ પર બે બોઇંગ 777-300ER વિમાન લઈને દિલ્હી અને મુંબઈથી ઇસ્તંબુલ સુધી સીધી ફ્લાઇટ્સ ચલાવી રહી છે. આ લીઝ મૂળ 31 મેના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ ઇન્ડિગોની વિનંતી પર DGCA એ તેને વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. ઇન્ડિગોએ આ લીઝને 6 મહિના સુધી લંબાવવાની માગ કરી હતી, પરંતુ DGCA એ તેને નકારી કાઢી હતી. નિયમનકારે સ્પષ્ટ કર્યું કે હવે વધુ કોઈ વિસ્તરણ આપવામાં આવશે નહીં અને આ છેલ્લી તક છે.
તૂર્કિયેએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો
હકીકતમાં, તૂર્કિયેએ તાજેતરમાં પાકિસ્તાનને સમર્થન અને ભારત તરફથી આતંકવાદી ઠેકાણાઓ પર કરાયેલી એર સ્ટ્રાઈકની ટીકા કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. આ કારણે, BCAS (બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી) એ તૂર્કિયેની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસની સુરક્ષા મંજૂરી પણ રદ કરી દીધી છે. એટલું જ નહીં, ઘણી ટ્રાવેલ એજન્સીઓ અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ્સે પણ તૂર્કિયેની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.