રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Student Anshu Killed Russia Ukraine War: છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે એક ભારતીય યુવક આ યુદ્ધની ભેટ ચઢી ગયો છે. હરિયાણાના રેવાડી જિલ્લાના કાઠુવાસ ગામમાં શુક્રવારે તે સમયે માતમ છવાઈ ગયો જ્યારે એમબીએ (MBA)ના અભ્યાસ માટે રશિયા ગયેલા 22 વર્ષીય અંશુનો મૃતદેહ તાબૂતમાં વતન પહોંચ્યો. ગામના સ્મશાનઘાટ પર કટર મશીન વડે તાબૂતને ખોલવામાં આવ્યું. તાબૂતમાં અંશુના પાર્થિવ દેહની સાથે-સાથે રશિયન સેનાનો યુનિફોર્મ અને બૂટ પણ મોકલવામાં આવ્યા હતા, જેને જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક યુવકના પિતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, એજન્ટોએ અંશુને છેતરીને રશિયન આર્મીમાં ભરતી કરાવી દીધો હતો અને તેને રશિયા-યુક્રેન યુદ્ધના મેદાનમાં મોકલી આપ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.
જે દીકરાને પિતાએ આંખોમાં સોનેરી ભવિષ્યના સપનાઓ સજાવીને અભ્યાસ માટે વિદેશ મોકલ્યો હતો, તેની અર્થી ઉઠતી જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું. અંશુના અંતિમ સંસ્કાર વખતે સ્મશાનમાં ગમગીની વ્યાપી ગઈ હતી. મોટા ભાઈ મોહિતે ભીની આંખે અંશુની ચિતાને મુખાગ્નિ આપી હતી. લોકોનું કહેવું છે કે, આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ તે એજન્ટોનું પૂર્વયોજિત કાવતરું છે, જેમણે શિક્ષણના બહાને એક હોનહાર વિદ્યાર્થીને છેતરીને રશિયન સેનામાં ભરતી કરાવીને મોતના મોરચે ઝોંકી દીધો.
એજન્ટોએ અભ્યાસ છોડાવીને યુદ્ધમાં મોકલ્યો
પરિવહન વિભાગમાં ફરજ બજાવતા પિતા રાકેશ કુમારે જણાવ્યું કે, અંશુ બીએ (BA) પૂર્ણ કર્યા બાદ MBAનું સપનું લઈને 30 એપ્રિલ 2025ના રોજ સ્ટડી વિઝા પર રશિયા ગયો હતો. શરૂઆતના થોડા મહિના તેણે કોલેજમાં અભ્યાસ પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તે એજન્ટોની જાળમાં ફસાઈ ગયો હતો. એજન્ટોએ સપ્ટેમ્બર 2025માં અંશુને જબરદસ્તીથી રશિયન સેનામાં ભરતી કરાવી દીધો હતો. અંશુએ છેલ્લે 18 ઓક્ટોબર 2025ના રોજ ઘરે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું સપ્ટેમ્બર મહિનાથી સેનામાં જોડાઈ ચૂક્યો છું અને હવે હું યુદ્ધ માટે યુક્રેનની 'ફર્સ્ટ લાઈન'માં જઈ રહ્યો છું અને હવે થોડા દિવસો પછી જ વાત થઈ શકશે.
બધાનો લાડકો હતો અંશુ
આ ઘટનાથી કાઠુવાસ ગામના રાકેશ કુમારના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. કારણ કે, રાકેશ કુમારની પત્નીનું પણ નિધન થઈ ચૂક્યું છે. ત્રણ ભાઈ-બહેનોમાં અંશુ સૌથી નાનો અને સૌનો લાડકો હતો. પિતાએ પોતાની આજીવનની જમા-પૂંજી એકઠી કરી અંશુને રશિયા ભણવા મોકલ્યો હતો, જેથી તે મોટો માણસ બની પરિવારનું નામ રોશન કરે. પરંતુ, કમનસીબે ઘરે પરત ફરી તો માત્ર તેની યાદો અને તાબૂત. ગામલોકોનું કહેવું છે કે, સરકારે આ એજન્ટો પર કડક કાર્યવાહી કરવી જોઈએ, જે નિર્દોષ યુવાનોને શિક્ષણના બહાને વિદેશ બોલાવી મોતની ખાઈમાં ધકેલી રહ્યા છે. રશિયા ગયેલા હરિયાણાના અન્ય સાત યુવાનો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે અનેક પરિવારોના જીવ અધ્ધર છે.
પરિવાર અજાણ રહ્યો
- પ્રાપ્ત માહિતી પ્રમાણે ફોન પર વાતચીત થયાના થોડા જ સમય પછી અંશુનું મોત થઈ ગયું હતું, પરંતુ પરિવાર છ મહિના સુધી અજાણ રહ્યો. 2 એપ્રિલેના રોજ દેશના વિદેશ મંત્રી સાથે મુલાકાત થઈ હતી.
- 4 એપ્રિલ 2026ના રોજ પિતા રાકેશ કુમારને રશિયાના મોસ્કોથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જણાવવામાં આવ્યું કે અંશુનું મોત થઈ ચૂક્યું છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને ભારત મોકલવામાં 10થી 15 દિવસ લાગશે.
આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
- 16 એપ્રિલના રોજ સૂચના મળી કે મૃતદેહ શુક્રવારે દિલ્હી એરપોર્ટ આવી રહ્યો છે. શુક્રવારે સવારે દિલ્હીથી મૃતદેહ લીધા બાદ પરિવાર 10 વાગ્યે ગામના સ્મશાન ઘાટમાં તેમનો અંતિમ સંસ્કાર કર્યો.








