ટિકિટ કેન્સલ કરાવવા પર નહીં થાય નુકસાન! મુસાફરોને મોટી રાહત આપવાની તૈયારીમાં રેલવે
Indian Railways: ભારતીય રેલવે હવે કેન્સલ કરાયેલી ટિકિટ પર મોટી રાહત આપવાની તૈયારીમાં છે. હાલમાં જો ટિકિટ બુક કરવામાં આવે છે અને તે વેઈટિંગ લિસ્ટમાં દેખાઈ રહી છે અને તેને કેન્સલ કર્યાબાદ સંપૂર્ણ રિફંડ મળતુ નથી. તેનું કારણ એ છે કે રેલવે ક્લાર્ક ફી તરીકે ચાર્જ કાપે છે. આ ચાર્જ અલગ-અલગ ક્લાસ અનુસાર 30થી 60 રૂપિયા સુધીનો હોય છે. આનાથી મુસાફરોને બેવડો ઝટકો લાગે છે. એક તરફ તેમની ટિકિટ કન્ફર્મ થતી નથી, તો બીજી તરફ રિફંડ પણ પૂર્ણ મળતુ નથી. હવે આવી પરિસ્થિતિથી લોકોને બચાવવા માટે રેલવે આ ચાર્જને ખતમ કરવાનું વિચારી રહી છે. જો આવું થાય તો જો મુસાફરોની વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ન થાય તો તેમને સંપૂર્ણ રિફંડ મળશે.
ટિકિટ કેન્સલ કરવા પર કેટલો ચાર્જ લાગે છે
અહેવાલો અનુસાર, કેન્સલ કરાયેલી ટિકિટ પર ચાર્જ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચાર્જ ટ્રેનના ક્લાસ અનુસાર 30થી 60 રૂપિયા સુધીનો હોય છે. મુસાફરો ઘણીવાર ફરિયાદ કરે છે કે જે ટિકિટ ખુદ કેન્સલ કરતા નથી અને વેઈટિંગ લિસ્ટમાં હોવાને કારણે કેન્સલ કરવામાં આવે છે તેના માટે રેલવે શા માટે ચાર્જ લે છે. હવે આ ચાર્જ ખતમ કરવાનો પ્રસ્તાવ રેલવ વિભાગ સમક્ષ મૂકવામાં આવ્યો છે, હવે આ અંગે વિચારણા કરવામાં આવી રહ્યો છે. હાલમાં, 2S ક્લાસની કેન્સલ કરાયેલી ટિકિટ પર 30 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. સ્લીપર ક્લાસ માટે ચાર્જ 60 રૂપિયા છે અને થર્ડ એસી સહિત અન્ય તમામ પર 60 રૂપિયા પ્લસ GST વસૂલવામાં આવે છે.
રેલવે વિભાગે 2.7 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી
IRCTC પોર્ટલ પરથી ટિકિટ બુક કરાવવા પર પણ આ ફી વસૂલવામાં આવે છે. જો વેઈટલિસ્ટ ટિકિટ કન્ફર્મ ન થાય, તો ટિકિટ કેન્સલ કરવાની પ્રક્રિયા ઓટોમેટેડ થાય છે અને ક્લાર્ક ચાર્જ સિવાયના કેટલાક અન્ય ચાર્જ બાદ કરીને રકમ પરત કરવામાં આવે છે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2025માં રેલવે રેકોર્ડ 2.7 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ વધારો માલવાહક ટ્રેનો અને પેસેન્જર ટ્રેનોમાંથી થયો છે. આ ઉપરાંત રેલવે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. રેલવે વિભાગને માલવાહકથી 1.75 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે મુસાફરોની સંખ્યા 735 કરોડ રૂપિયા થઈ છે.
રેલવેએ કેન્સલેશન ચાર્જથી 6 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી
ઉલ્લેખનીય છે કે, રેલવેને ટિકિટ કેન્સલેશન ચાર્જથી પણ મોટી આવક થઈ રહી છે. એક રાઈટ ટુ ઈન્ફોરમેશન (RTI)ના જવાબમાં આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે રેલવેએ વર્ષ 2020થી 2023 સુધીના 4 વર્ષમાં ફક્ત ટિકિટ કેન્સલેશન ચાર્જથી 6 હજાર કરોડ રૂપિયાની આવક મેળવી છે. આ ડેટા સામે આવ્યા પછી વેઈટિંગ લિસ્ટ ટિકિટ કેન્સલેશન પર કાપવામાં આવતા ચાર્જ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.