Get The App

હોર્મુઝ સંકટ વચ્ચે પ્રશ્ન: ભારતીય નૌકાદળ કાયદેસર રીતે ક્યાં સુધી પહોંચી શકે?

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ સંકટ વચ્ચે પ્રશ્ન: ભારતીય નૌકાદળ કાયદેસર રીતે ક્યાં સુધી પહોંચી શકે? 1 - image

Indian Navy's Maritime Jurisdiction : તાજેતરમાં હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીન દ્વારા ભારતમાંથી પરત ફરી રહેલા ઈરાનના યુદ્ધ જહાજને ડૂબાડવાની ઘટનાએ ભારતનું ધ્યાન ફરી દરિયાઈ સુરક્ષા તરફ ખેંચ્યું છે. આ ઘટના પછી એક મહત્વના પ્રશ્નો ઊભા થયા છે કે, ભારતની દરિયાઈ સીમા કેટલી દૂર સુધી છે અને ભારતીય નૌકાદળ કાયદેસર રીતે ક્યાં સુધી કાર્ય કરી શકે છે? આ સમજવા માટે સૌપ્રથમ દરિયાઈ કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમોને સમજવા જરૂરી છે.

દરિયાઈ સીમા નક્કી કરતો આંતરરાષ્ટ્રીય કાયદો

ભારતનો દરિયાકાંઠો (મુખ્ય ભૂમિ અને ટાપુઓ સહિત) લગભગ 7,516.6 કિલોમીટર લાંબો છે. વિશ્વના મોટાભાગના દેશોની જેમ ભારતની દરિયાઈ સીમાઓ પણ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નક્કી થાય છે. આ માટે મુખ્ય આધાર United Nations Convention on the Law of the Sea (UNCLOS), 1982 છે. આ કરાર મુજબ સમુદ્રને વિવિધ ઝોનમાં વહેંચવામાં આવે છે. 

ભારતમાં આ નિયમોને અમલમાં મૂકવા માટે “Territorial Waters, Continental Shelf, Exclusive Economic Zone and Other Maritime Zones Act, 1976” બનાવવામાં આવ્યો હતો. આ કાયદો દેશની દરિયાઈ સીમા, કુદરતી સંસાધનો પરના અધિકાર અને સુરક્ષા વ્યવસ્થાને સ્પષ્ટ કરે છે. આ કાયદા મુજબ ભારતની દરિયાઈ સીમા અનેક ઝોનમાં વહેંચાયેલી છે, જેમાં મુખ્ય ચાર છે:

• પ્રાદેશિક પાણી (Territorial Waters)

• સંલગ્ન ઝોન (Contiguous Zone)

• વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (Exclusive Economic Zone – EEZ)

• આંતરરાષ્ટ્રીય પાણી (High Seas)

આ ઝોન ભારતના અધિકારો અને સૈન્ય કામગીરીની મર્યાદા નક્કી કરે છે.

ઝોન-1: પ્રાદેશિક પાણી (Territorial Sea) - સંપૂર્ણ સાર્વભૌમત્વ

દરિયાઈ સીમામાં સૌથી મહત્વપૂર્ણ વિસ્તાર પ્રાદેશિક પાણી છે. આ વિસ્તાર દરિયાકાંઠાની બેઝલાઇનથી 12 નોટિકલ માઇલ (22.22 કિલોમીટર) સુધી ફેલાયેલો હોય છે. બેઝલાઇન એટલે સામાન્ય રીતે દરિયાકાંઠે દેખાતી સૌથી નીચી પાણીની રેખા. આ રેખા પરથી દરિયાઈ અંતરની ગણતરી શરૂ થાય છે. આ વિસ્તારમાં ભારતને જમીન જેટલો જ સંપૂર્ણ અધિકાર હોય છે. એટલે કે:

• સમુદ્રનું પાણી

• સમુદ્રનું તળિયું

• જમીન નીચેના ખનિજ

• ઉપરનું હવાઈ ક્ષેત્ર

આ બધું ભારતના નિયંત્રણ હેઠળ આવે છે. અહીં ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ કાયદાનો અમલ કરી શકે છે. ભારતીય નૌકાદળ અને દરિયાકાંઠાના રક્ષક દળને આ વિસ્તારમાં કાયદાનો અમલ કરવાનો, ઘૂસણખોરી રોકવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોઈ પણ વિદેશી યુદ્ધજહાજને આ વિસ્તારમાંથી પસાર થવા માટે ભારત સરકારની પરવાનગી લેવી પડે છે.

આ પણ વાંચો : 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન, કેરળમાં લીધા અંતિમ શ્વાસ

ઝોન-2: સંલગ્ન ઝોન (Contiguous Zone) - સુરક્ષાનો બફર વિસ્તાર

પ્રાદેશિક પાણીની બહારનો વિસ્તાર સંલગ્ન ઝોન તરીકે ઓળખાય છે. આ વિસ્તાર દરિયાકાંઠાથી 24 નોટિકલ માઇલ (44.44 કિલોમીટર) સુધી ફેલાયેલો હોય છે. આ વિસ્તાર સંપૂર્ણ રીતે દેશનો ભાગ ગણાતો નથી, પરંતુ અહીં ભારતને કેટલીક ખાસ સત્તાઓ હોય છે. ઉદાહરણ તરીકે ભારત અહીં નીચેના કાયદા અમલમાં મૂકી શકે છે:

• કસ્ટમ્સ નિયમો

• કરવેરા કાયદા

• ઇમિગ્રેશન નિયમો

• પ્રદૂષણ નિયંત્રણ

આ વિસ્તાર મૂળભૂત રીતે એક સુરક્ષા બફર ઝોન છે. જો કોઈ જહાજ ભારતના કાયદાનો ભંગ કરવાની શંકા હોય, તો અહીં તપાસ અને કાર્યવાહી થઈ શકે છે.

ઝોન-3: વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) - સંપત્તિનો ભંડાર

ભારત માટે સૌથી મોટો દરિયાઈ વિસ્તાર Exclusive Economic Zone (EEZ) છે. આ વિસ્તાર દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ (370.4 કિલોમીટર) સુધી વિસ્તરે છે. આ ઝોનમાં ભારતને સંપૂર્ણ રાજકીય સત્તા નથી, પરંતુ કુદરતી સંસાધનો પર વિશેષ આર્થિક અધિકાર હોય છે. આ અધિકારોમાં મુખ્યત્વે આ બાબતો આવે છે:

• માછીમારી

• સમુદ્રતળમાંથી તેલ અને ગેસ કાઢવું

• ખનિજ શોધ

• દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન

• કૃત્રિમ ટાપુઓ અને ઓફશોર પ્લેટફોર્મ બનાવવું

ભારતનો EEZ વિસ્તાર લગભગ 24 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને તેને ભારતની Blue Economy (દરિયાઈ સંસાધનો પર વિકસેલું અર્થતંત્ર)નો આધાર માનવામાં આવે છે. આ ઝોનમાં વિદેશી જહાજોને પસાર થવાનો અધિકાર છે, પરંતુ તેઓ ભારત વિરુદ્ધ કોઈ જાસૂસી અથવા આક્રમક પ્રવૃત્તિ કરી શકે નહીં.

ભારતીય નૌકાદળ ક્યાં સુધી કાર્ય કરી શકે?

કાયદાકીય રીતે ભારતનો સીધો અધિકાર 200 નોટિકલ માઇલ સુધીના EEZ સુધી મર્યાદિત છે. પરંતુ લશ્કરી દ્રષ્ટિએ નૌકાદળની કામગીરી તેની બહાર પણ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ સમુદ્રના ઘણા વિસ્તાર High Seas એટલે કે આંતરરાષ્ટ્રીય પાણી ગણાય છે. અહીં દરેક દેશના જહાજોને અવરજવર અને કામગીરી કરવાની છૂટ હોય છે. આ કારણે ભારતીય નૌકાદળ:

• આંતરરાષ્ટ્રીય પાણીમાં પેટ્રોલિંગ કરી શકે છે

• વેપારી જહાજોની સુરક્ષા કરી શકે છે

• ચાંચિયાગીરી વિરોધી અભિયાન ચલાવી શકે છે

• વ્યૂહાત્મક માર્ગોની સુરક્ષા કરી શકે છે

• જો કોઈ જહાજ ભારતના દરિયાઈ કાયદાનો ભંગ કરીને આંતરરાષ્ટ્રીય જળમાં ભાગી જાય, તો નૌકાદળને ‘હોટ પર્સ્યુટ’ (તાત્કાલિક પીછો) કરવાનો અધિકાર છે, એટલે કે તેને પકડવા માટે આંતરરાષ્ટ્રીય જળમાં પણ ઘૂસી શકે છે. આ કારણસર ભારતીય નૌકાદળ ઘણીવાર અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને આફ્રિકા નજીકના પાણીમાં પણ કામગીરી કરે છે.

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા કેવી રીતે નક્કી થાય?

જ્યાં બે દેશો વચ્ચે સમુદ્ર આવે છે—જેમ કે ભારત-પાકિસ્તાન અથવા ભારત-શ્રીલંકા—ત્યાં દરિયાઈ સરહદને International Maritime Boundary Line (IMBL) કહેવામાં આવે છે. આ સરહદો સામાન્ય રીતે બે દેશો વચ્ચેના કરારો દ્વારા નક્કી થાય છે. જો કોઈ વિસ્તાર પર બંને દેશોનો દાવો હોય તો,

• દ્વિપક્ષીય ચર્ચા

• આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી

• UNCLOSના નિયમો

આ બધાની મદદથી અંતિમ સીમા નક્કી કરવામાં આવે છે.

પડોશીઓ સાથેની સીમા રેખા અને વિવાદો

ભારત સાત દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને માલદીવ્સ સાથે પોતાની દરિયાઈ સીમા વહેંચે છે.

સીમા નિર્ધારણના કરાર: ભારતે તેના મોટાભાગના પડોશીઓ (શ્રીલંકા, માલદીવ્સ, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મ્યાંમાર) સાથે દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય કરારો કરીને પોતાની દરિયાઈ સીમાઓ નક્કી કરી દીધી છે. આ માટે સામાન્ય રીતે મધ્યમાન રેખા (Median Line) ના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંત મુજબ બંને દેશોના દરિયાકાંઠાથી સરખા અંતરે રેખા દોરવામાં આવે છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના અધૂરા વિવાદો 

પાકિસ્તાન: ગુજરાતમાં સર ક્રીક (Sir Creek) ના કચ્છના રણ વિસ્તારમાં જમીની સીમા નક્કી ન હોવાને કારણે દરિયાઈ સીમાનો વિવાદ ચાલુ છે. પાકિસ્તાન આ મુદ્દાને કાશ્મીર સાથે જોડે છે, જેના કારણે ઉકેલ આવી શક્યો નથી.

બાંગ્લાદેશ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો દરિયાઈ સીમા વિવાદ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી (આર્બિટ્રેશન) દ્વારા ઉકેલાયો છે, પરંતુ કેટલાક ટ્રાઇજંકશન પોઈન્ટ હજુ પણ બાકી છે.

ટૂંકમાં, ભારતની દરિયાઈ સીમા માત્ર દરિયાકાંઠા સુધી મર્યાદિત નથી. 12 નોટિકલ માઇલથી લઈને 200 નોટિકલ માઇલ સુધી અલગ-અલગ ઝોનમાં ભારતને વિવિધ અધિકારો મળે છે. જ્યારે ભારતીય નૌકાદળ આંતરરાષ્ટ્રીય પાણીમાં પણ કામગીરી કરી શકે છે, ખાસ કરીને ત્યાં જ્યાં ભારતના વેપારી માર્ગો અને વ્યૂહાત્મક હિતો જોડાયેલા હોય છે.

આ પણ વાંચો : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે યુએઈમાં વસતા ભારતીયો માટે દૂતાવાસનું એલર્ટ, જાહેર કરી એડવાઈઝરી