Get The App

બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યા અવગણી ના શકીએ... વિદેશ મંત્રાલયે કરી યુનુસની ઝાટકણી

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યા અવગણી ના શકીએ... વિદેશ મંત્રાલયે કરી યુનુસની ઝાટકણી 1 - image


Bangladesh Violence: ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર માટે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા ચિંતાનો વિષય છે, અમે દીપુ દાસની હત્યાની નિંદા કરીએ છીએ. અમને આશા છે કે આરોપીઓને કોર્ટના કઠેડામાં લાવવામાં આવશે. ભારત સરકારે બાંગ્લાદેશમાં વચગાળાની યુનુસ સરકારની નીતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

લઘુમતી હિન્દુઓ પર અત્યાચારની 2,900 ઘટનાઓ

ભારતીય વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું છે કે 'બાંગ્લાદેશમાં વર્તમાન વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતી હિન્દુઓની હત્યા, આગચંપી અને જમીન પચાવી પાડવા સહિત 2,900 ઘટનાઓ સામે આવી છે.. આ સમાચારોને રાજકીય હિંસા કહીને નજર અંદાજ ન કરી શકાય, ભારત બાંગ્લાદેશમાં મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણીઓ થાય તેવું ઇચ્છે છે. ભારત બાંગ્લાદેશના નાગરિકો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે ત્યાં શાંતિ અને સ્થિરતાની આશા રાખીએ છીએ.'

H-1B વિઝા મુશ્કેલી અંગે ભારત સરકારનું નિવેદન

ભારતીયોને H-1B વિઝા એપોઇન્ટમેન્ટ રદ થવા પર પડી રહેલી મુશ્કેલી અંગે પણ સવાલ કરતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું  છે કે 'ઘણા ભારતીય નાગરિકોએ વિઝા શિડ્યુઅલ અને રિ-શિડ્યુઅલ અંગે ફરિયાદ કરી છે. વિઝા આપવાનો અધિકાર જે તે દેશનો છે, તો પણ ભારતે અમેરિકાના અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવી ચિંતા વ્યક્ત કરી છે. MEA મુજબ આ કારણે ભણતર અને પારિવારિક જીવન પર અસર પડી રહી છે. સરકાર અમેરિકાના પક્ષ સાથે સતત સંપર્કમાં છે જેથી ભારતીય નાગરિકોને પડી રહેલી સમસ્યાઓ ઓછી થાય'

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા

બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવાર (24 ડિસેમ્બર) મોડી રાત્રે ગામલોકોના એક ટોળાએ ખંડણીના આરોપમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા કરી. બુધવાર રાત્રે અંદાજિત 11 વાગ્યે ટોળાએ હુમલો કર્યો.  આ ઘટના દીપ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની મોબ લિંચિંગના થોડા દિવસ બાદ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેમના મૃતદેહને સળગાવી દીધો હતો. ડેલી સ્ટાર અનુસાર, પાંગ્શા સર્કરના સહાય પોલીસ અધીક્ષક દેબ્રતા સરકારે જણાવ્યું કે, સ્થાનિક લોકો દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિતની ઓળખ અમૃત મંડળ તરીકે થઈ છે, જેની સમ્રાટના નામથી ઓળખ થઈ છે. પોલીસને તે ખૂબ જ ગંભીર સ્થિતિમાં મળ્યો અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેને મૃત જાહેર કરાયો.