સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા
Airbus C-295 Military: ભારતને સ્પેનથી મળનારા 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનું અંતિમ વિમાન શનિવારે મળી ગયું. આ દેશની રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. C-295 પાંચથી દસ ટન ક્ષમતાવાળું પરિવહન વિમાન છે. તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તે વાયુસેનાના જૂના એવરો વિમાનનું સ્થાન લેશે.
તેની ડિલિવરી ડેડલાઈન કરતાં બે મહિના વહેલા કરવામાં આવી છે. સ્પેનમાં ભારતીય રાજદૂત દિનેશ કે પટનાયકે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સેવિલેમાં એરબસ ડિફેન્સ અને સ્પેસ એસેમ્બલી લાઇન પર 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનમાંથી છેલ્લું વિમાન મેળવ્યું.
આ વિમાન 11 કલાક સુધીની ઉડાન ક્ષમતા ધરાવે છે
11 કલાક સુધીની ઉડાન ક્ષમતા ધરાવતું આ વિમાન એક બહુમુખી વ્યૂહાત્મક પરિવહન વિમાન છે. ભારતે સપ્ટેમ્બર 2021માં વાયુસેના માટે 56 C-295 MW પરિવહન વિમાન ખરીદવા માટે એરબસ ડિફેન્સ અને સ્પેસ સ્પેન સાથે કરાર કર્યો હતો. કુલ 56 વિમાન ડિલિવર કરવાના છે, જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા ડિલિવર કરવાના હતા અને બાકીના 40 ભારતમાં બનાવવામાં આવશે.
![]() |
સ્પેને શનિવારે 16 વિમાનોમાંથી છેલ્લું સોંપીને તે પ્રતિબદ્ધતા પૂર્ણ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝે ગયા વર્ષે ઓક્ટોબરમાં ગુજરાતના વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 વિમાનના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. TASL ભારતમાં આ 40 વિમાનોના ઉત્પાદન કરશે. તે ભારતમાં લશ્કરી વિમાનો માટે પ્રથમ ખાનગી ક્ષેત્રની અંતિમ એસેમ્બલી લાઇન (FAL) બની ગઈ છે.