ભારતીય મૂળના કોમેડિયનનુ સ્ટેજ પર મોત, લોકો અભિનય સમજી હસતા રહ્યા
નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2019, રવિવાર
કોઈ પણ કલાકારનુ સ્ટેજ પર પરફોર્મન્સ આપતી વખતે લોકોની વાહ વાહ મેળવવાનુ સ્વપ્ન હોય છે. ભારતીય મૂળના સ્ટેડન્ડ અપ કોમેડિયન મંજૂનાથને કદાચ ખ્યાલ નહી હોય કે, સ્ટેજ પર જ તેમનુ મોત થશે અને એ પછી પણ તેને અભિનય સમજીને લોકો તાળીઓ પાડતા હશે.
રિપોર્ટ પ્રમાણે, 36 વર્ષીય કોમેડિયન મંજૂનાથ દુબઈની એક હોટલમાં પરફોર્મ કરી રહ્યા હતા. બે કલાકનુ પરફોર્મન્સ પુરુ થવાના આરે હતુ, ત્યારે તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. પહેલા તો તેઓ સ્ટેજ પર મુકેલી ખુરશીમાં બેસી ગયા હતા અને થોડી જ વારમાં જમીન પર પડી ગયા હતા.
જોકે મંજૂનાથ હજી પણ અભિનય કરી રહ્યા છે તેમ સમજીને લોકો હસી રહ્યા હતા પણ થોડી મિનિટો બાદ પણ મંજૂનાથે કોઈ હલન ચલન ના કર્યુ ત્યારે લોકોને ખબર પડી હતી કે, આ કલાકારનુ સ્ટેજ પર જ મોત થઈ ગયુ છે.
મંજૂનાથના મિત્રે કહ્યુ હતુ કે, મંજૂનાથને 20 મિનિટમાં મેડિકલ ટ્રીટમેન્ટ મળી હતી પણ અમે તેને બચાવી શક્યા નહોતા. તેના પરફોર્મન્સે તેને મારી નાંખ્યો છે.
મંજૂનાથનો જન્મ અબુધાબીમાં થયો હતો અને તે પાછળથી દુબઈમાં શિફ્ટ થયા હતા.તે દુબઈના મશહૂર સ્ટેન્ડ અપ કોમેડિયન પૈકીના એક હતા.