ઇન્ડિયન ઍરફોર્સના કાફલામાં પર્યાપ્ત ફાઇટર જેટ્સ નહીં, સરકાર સમક્ષ નવા રાફેલ માટે મૂકી માગ
Image: File Photo, Wikipedia |
Indian Airforce Demands New Rafale Jets: ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ભારતીય વાયુસેનાની તાકાત જોઈ. ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના ચીની વિમાનોના હોશ ઉડાવી દીધા. જો કે, આંતરરાષ્ટ્રીય પડકારોને ધ્યાનમાં રાખતાં ભારતીય વાયુસેના પાસે હાલમાં પર્યાપ્ત ફાઇટર જેટ્સ નથી. આવી સ્થિતિમાં, વાયુસેનાએ સરકાર પાસેથી નવા રાફેલ વિમાનોની માંગણી કરી છે. ભારતીય વાયુસેના ઇચ્છે છે કે લાંબા સમયથી પડતર 114 મલ્ટી રોલ ફાઇટર ઍરક્રાફ્ટ (MRFA) પ્રોજેક્ટ હેઠળ નવા રાફેલ વિમાનો ઉપલબ્ધ કરાવવામાં આવે.
ભારતીય વાયુસેનાનું કહેવું છે કે, ફ્રાન્સની સરકાર સાથે પડતર પ્રોજેક્ટ હેઠળ નવા ફાઇટર જેટની ખરીદી કરો અથવા ઉત્પાદન કરો, જેથી વાયુસેનાની તાકાતમાં વધારો થઈ શકે. આ પ્રોજેક્ટ હેઠળ મોટાભાગના વિમાન વિદેશી સહયોગ સાથે દેશમાં જ ઉત્પાદિત કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય વાયુસેના હવે પોતાના બેડામાં દેશી રાફેલ વિમાન ઇચ્છે છે.
ટૂંકસમયમાં મળી શકે છે મંજૂરી
આ પ્રોજેક્ટને આગળ વધારવાનો પ્રથમ તબક્કો એસેપ્ટન્સ ઑફ નેસેસિટી (AoN) છે. અહેવાલો અનુસાર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એક કે બે મહિનામાં તેને મંજૂરી આપી શકે છે. વાયુસેનાનું કહેવું છે કે શક્ય તેટલી વહેલી તકે નવા ફાઇટર ઍરક્રાફ્ટનો સમાવેશ કાફલામાં કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, 7થી 10 મે દરમિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય વાયુસેનાએ રાફેલનો ઉપયોગ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કર્યો હતો.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતીય વાયુસેનાના 6 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા છે. જોકે, ભારતે પાકિસ્તાનના આ પાયાવિહોણા દાવાઓને ફગાવી દીધા છે. તમને જણાવી દઈએ કે MRFA પ્રોજેક્ટ છેલ્લા સાતથી આઠ વર્ષથી પડતર છે. બીજી તરફ ભારતીય વાયુસેનામાં વિમાનોની અછત છે. MiG-21 વિમાન આવતા મહિને નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, વાયુસેનામાં વિમાનોની સંખ્યામાં વધુ ઘટાડો થશે. ભારતીય વાયુસેનાએ 5th જનરેશનના વિમાનની પણ માંગ કરી છે.
5th જનરેશનના વિમાનની પણ માંગ
ભારતીય વાયુસેનાનું કહેવું છે કે હવે 5th જનરેશનના ફાઇટર ઍરક્રાફ્ટની જરૂર છે. તેમાં રશિયાના સુખોઈ-57 અને અમેરિકાના F-35 વિમાનનો સમાવેશ થાય છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ચર્ચા શરુ થઈ નથી. ભારતીય વાયુસેનાનું કહેવું છે કે જો રાફેલ ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ ડીલ મારફત ખરીદવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. 2016મા, ભારતે 59000 કરોડ રૂપિયાના રાફેલ વિમાન માટે સોદો કર્યો હતો. ત્યારબાદ વાયુસેનાના કાફલામાં 36 રાફેલ વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.