Get The App

શેરબજારોમાં ઘટાડો છતાં ભારત અમેરિકા પર જવાબી ટેરિફ નહીં નાખે : સૂત્રો

Updated: Apr 8th, 2025

GS TEAM

Google News
Google News
શેરબજારોમાં ઘટાડો છતાં ભારત અમેરિકા પર જવાબી ટેરિફ નહીં નાખે : સૂત્રો 1 - image

- દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ભારતનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે

- ચીન, વિયેતનામ, થાઇલેન્ડ જેવા દેશોમાંથી આયાત પર નજર રાખવા સરકારે આંતરિક મંત્રાલય ગ્રુપની રચના કરી 

નવી દિલ્હી : ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર ૨૬ ટકા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવે તેની શક્યતા ઓછી છે. 

ભારત દ્વિપક્ષીય વેપાર સમજૂતીને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ટ્રમ્પના ટ્રેડ વોરને કારણે ભારત સહિતના વૈશ્વિક શેર બજારોમાં મોટા પાયે ઘટાડોે થયો હોવા છતાં ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવવાની સંભાવના ઓછી છે. 

અમેરિકા દ્વારા ચીન, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશો પર અમેરિકાએ ટેરિફ વધારતા આ દેશોમાંથી ભારતમાં થતી આયાત પર નજર રાખવા સરકારે એક આંતરિક મંત્રાલય ગ્રુપની રચના કરી છે. 

આ ગ્રુપમાં વાણિજય વિભાગ, મહેસૂલી વિભાગ અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેજ (ડીપીઆઇઆઇટી)ના અધિકારીઓને સામેલ કરવામાં આવશે. 

સંબધિત મંત્રાલયો અને ઔદ્યોગિક સંગઠનોને પણ આયાતમાં વૃદ્ધિ અને તેની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર પડનારી અસરોની માહિતી આપવા જણાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનો ઉદ્દેશ આયાત પર નજર રાખવા અને કોઇ પગલા લેવાની જરૂર છે કે નહીં તે નક્કી કરવાનો છે. હવાઇ અને સમુદ્ર માર્ગે થતી તમામ આયાત પર નજર રાખવામાં આવશે. ભારતના હરીફ દેશો ચીન, થાઇલેન્ડ, વિયેતનામ અને મલેશિયા પર અમેરિકા દ્વારા ટેરિફ નાખવામાં આવ્યો છે. જેના કારણે આ દેશોની વસ્તુઓ અમેરિકામાં મોંધી બનશે. જેના કારણે થોડાક મહિનાઓ પછી આ વસ્તુઓ ભારત જેવા દેશોમાં પ્રવેશી શકે છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત પર ૨૬ ટકા, વિયેતનામ પર ૪૬ ટકા, થાઇલેન્ડ પર ૩૬ ટકા,ચીન પર ૩૪ ટકા અને ઇન્ડોનેશિયા પર ૩૨ ટકા ટેરિફ નાખ્યો છે.