India

'ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ...' પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન

By GS TEAM
27 Aug 20252 mins read
TukuTouch Logo
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પરની વાતચીત હાલમાં અટકેલી છે. આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો 25% વધારાનો ટેરિફ અમલમાં આવ્યો છે, જેના પછી ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થયો. આ ટેરિફ ભારતીય સમયાનુસાર સવારે 9:31 વાગ્યાથી લાગુ થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ...' પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન

India America Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પરની વાતચીત હાલમાં અટકેલી છે. આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો 25% વધારાનો ટેરિફ અમલમાં આવ્યો છે, જેના પછી ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થયો. આ ટેરિફ ભારતીય સમયાનુસાર સવારે 9:31 વાગ્યાથી લાગુ થઈ ગયો છે.

બંને દેશો વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની આશા 

આ બધા વચ્ચે, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે, જેનાથી ટ્રમ્પની સંભવિત ભારત યાત્રા વધુ મજબૂત બનશે.

હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું કે, 'આશા છે કે ભારત અને અમેરિકા પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને જલ્દી જ એક સંતોષજનક અને પરસ્પર લાભદાયક એફટીએને અંતિમ સ્વરૂપ આપશે. આનાથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે અને ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા સફળ રહેશે.'

ટેરિફનો પ્રભાવ અને ભારતના વિકલ્પો

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) મુજબ, આ પગલાની અસર ભારતથી અમેરિકા જતા $60.2 બિલિયનના નિકાસ પર પડશે. ખાસ કરીને ટેક્સટાઈલ્સ, જેમ્સ-જ્વેલરી, શ્રિમ્પ, કાર્પેટ્સ અને ફર્નિચર જેવા શ્રમ-આધારિત ક્ષેત્રોમાં નિકાસ 70% સુધી ઘટી શકે છે. આની સીધી અસર લાખો કામદારો પર થશે.

હર્ષવર્ધન શૃંગલાએ કહ્યું કે, 'આપણે આ ટેરિફની અસરને ઓછી કરવાના ઉપાયો શોધી રહ્યા છીએ. ભારત પાસે ઓસ્ટ્રેલિયા, યુએઈ અને યુકે સાથે પહેલાથી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે અને યુરોપિયન યુનિયન સાથેનો કરાર પણ જલ્દી પૂર્ણ થવાની આશા છે. આનાથી ભારત પોતાના નિકાસને વૈકલ્પિક બજારો તરફ વાળી શકશે.

આ પણ વાંચો: બિહારમાં મંત્રી ઉપર જીવલેણ હુમલો, ગ્રામીણોએ અનેક કિ.મી. ભગાડ્યા, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત

ભારત-અમેરિકા સંબંધોનું ભવિષ્ય

ભારત-અમેરિકા સંબંધો વિષે વાત કરતા હર્ષવર્ધન શૃંગલાએ એ પણ કહ્યું કે, 'ભારત અને અમેરિકાનો સંબંધ બહુઆયામી છે. બંને દેશોના સામાન્ય મૂલ્યો અને સિદ્ધાંતોની તાકાત આ સંબંધને કોઈપણ ઉતાર-ચઢાવમાંથી બહાર કાઢશે.' તેમણે અમેરિકામાં ભારતના નવા એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરની નિમણૂકને પણ સકારાત્મક પગલું ગણાવ્યું.